હેતમપુર: મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં હેતમપુર રેલ્વે સ્ટેશન નજીક ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાને કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જ્યારે મુખ્ય ટ્રેક પર આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસની ટક્કરથી ચાર મુસાફરોના મોત થયા છે. જ્યારે બીજા અન્ય ઘાયલ થયા છે.
મુસાફરો પાતાળકોટ એક્સપ્રેસ સાથે અથડાયા
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ રવિવારે સાંજે મુરેના જિલ્લાના હેતમપુર અને ઘેર રેલ્વે સ્ટેશનો વચ્ચે દુર્ઘટના ઘટી હતી. જેમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાતાં ગભરાયેલા મુસાફરોએ ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસને ઇમરજન્સી ચેઇન ખેંચીને રોકી દીધી હતી. ત્યારબાદ કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા અને રેલ્વે ટ્રેક પર ઉતર્યા, જ્યાં તેઓ બાજુની લાઇન પર આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસ સાથે અથડાઈ ગયા હતા.
ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત કુલ ચાર લોકોના મોત
આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ઘણા અન્ય મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જોકે, વહીવટીતંત્ર તરફથી મૃત્યુ અને ઇજાઓની સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.