Sun Jun 14 2026

Logo

મોતના 4  મહિના બાદ થશે ખામેનેઈની દફનવિધિ, ઈરાને આખરે જાહેર કરી અંતિમ સંસ્કારની નવી તારીખો

Tehran   2026-06-14 16:48:26
Author: Vimal Prajapati
Article Image

Gemini Generated Image


તેહરાન: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાને તેના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કાર અને 'સુપુર્દ-એ-ખાક' માટેની નવી તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના અંતિમ સંસ્કાર યુદ્ધ અને સુરક્ષાના કારણોસર અત્યાર સુધી અનેકવાર ટાળવામાં આવ્યા હતા. હવે ઈરાન સરકારે તેમને દફનાવવા માટે પવિત્ર મુહર્રમ મહિનાનો સમય પસંદ કર્યો છે.

તેહરાન હુમલામાં થયું હતું ખામેનેઈનું મોત

સવારે 09:40 વાગ્યે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા એક અત્યંત શક્તિશાળી હવાઈ હુમલામાં તેહરાન સ્થિત તેમના દફતરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેહરાન પર થયેલી મિસાઈલોની આ ભયાનક વરસાદમાં અયાતોલ્લા અલી ખામેનેઈની સાથે તેમની પુત્રી, જમાઈ અને પૌત્ર/પૌત્રી પણ માર્યા ગયા હતા. આ સિવાય ઈરાની સરકારના અનેક ટોચના સૈન્ય અને વહીવટી અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો.

આખરે જુલાઈમાં યોજાશે અંતિમ સંસ્કાર 

આ હુમલા બાદ ઈરાને પોતાના સર્વોચ્ચ નેતા અને મિનાબ હુમલામાં શહીદ થયેલી 100થી વધુ સ્કૂલી વિદ્યાર્થીનીઓનો બદલો લેવાની કસમ ખાધી હતી, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. બંને પક્ષો વચ્ચે શરૂ થયેલા આ વિનાશક યુદ્ધને હવે ચાર મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, ખામેનેઈના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ હવે જુલાઈ મહિનામાં યોજાશે. સમગ્ર ઈરાનમાં અલગ-અલગ શહેરોમાં શોક સભાઓ અને અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે 6 દિવસીય સત્તાવાર શોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 4 જુલાઈથી તેહરાન અને ઈરાનના અન્ય અગ્રણી શહેરોમાં શ્રદ્ધાંજલિ સભાઓ સાથે થશે. ત્યારબાદ 6 જુલાઈના રોજ રાજધાની તેહરાનમાં ખામેનેઈના પાર્થિવ દેહને જનતાના આખરી દર્શનાર્થે અને અંતિમ વિધિ માટે લાવવામાં આવશે. આ રાષ્ટ્રીય શોક યાત્રા આગળ વધતા 7 જુલાઈના રોજ ઈરાનના મુખ્ય ધાર્મિક કેન્દ્ર ગણાતા કોમ શહેરમાં પહોંચશે, જ્યાં તેમના આત્માની શાંતિ માટે વિશેષ ધાર્મિક વિધિઓ અને જનાજાની નમાજ પઢવામાં આવશે. અંતિમ તબક્કામાં, 9 જુલાઈના રોજ ખામેનેઈના પાર્થિવ દેહને પવિત્ર મશહદ શહેરમાં લાવવામાં આવશે, જ્યાં પ્રખ્યાત ઈમામ રઝાની દરગાહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ દફનવિધિ સંપન્ન કરવામાં આવશે.