Sun Jul 26 2026

Logo

હૂતિઓએ સાઉદી, જિજાન અને યાનબૂ પર કર્યો મિસાઇલ હુમલો, દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર ખતરો

Riyadh   2026-07-26 14:24:23
Author: Mumbai Samachar Team
Article Image

 

રિયાધ: યમનના હૂતિ વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે સાઉદીના બે શહેરો જિઝાન અને યાનબુ પર જોખમ તોળાઈ રહ્યું છે. સિવિલ ડિફેન્સે આ અંગે એલર્ટ જારી કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શુક્રવાર રાતથી જ પોસ્ટ્સ અપડેટ કરવામાં આવી રહી છે.

શનિવારે સવારે ત્રણ પોસ્ટ દ્વારા પહેલા જોખમ અંગે સાવચેત કરવામાં આવ્યા, ત્યારબાદ બધું સામાન્ય હોવાની માહિતી આપવામાં આવી. તાજેતરની પોસ્ટમાં યાનબુને લઈને ચેતવણી આપવામાં આવી છે. આ બંદરગાહ શહેર વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

યાનબુ પશ્ચિમ સાઉદી અરેબિયાના મદીના પ્રાંતમાં લાલ સમુદ્રના કિનારે આવેલું એક ઔદ્યોગિક શહેર છે. લાલ સમુદ્ર પર જિદ્દાહ પછી આ બીજું સૌથી મોટું બંદર છે. અહીંના ખૂબ જ સુંદર દ્વીપ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર છે. આ જગ્યા સ્કૂબા ડાઇવિંગ, કોરલ રીફ્સ અને દરિયાઈ પ્રવૃત્તિઓ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે યમન સાથે વધતા તણાવ વચ્ચે સાઉદી આ વિસ્તારને લઈને ખૂબ જ ચિંતિત છે.

અરામકોની ઓઈલ સાઇટ પર હુમલો

આ ચેતવણી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે સાઉદી અરેબિયા અને યમનના હૂતિ વિદ્રોહીઓ બંનેએ એકબીજા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. હૂતિ વિદ્રોહીઓએ જિઝાન ઔદ્યોગિક શહેરના એક મહત્વપૂર્ણ કેન્દ્ર અને દુનિયાની સૌથી મોટી તેલ કંપની 'અરામકો' સાથે જોડાયેલા ઓઈલ પ્લાન્ટને પણ નિશાન બનાવ્યું હતું. હુમલાઓ બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

સાઉદી અરેબિયાનો હૂતિઓના ઠેકાણાં પર હુમલો

બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધને યમનના હૂતિ વિદ્રોહીઓના લશ્કરી ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. અગાઉ લાલ સમુદ્રમાં સાઉદી સાથે જોડાયેલા જહાજોને હૂતિ વિદ્રોહીઓએ નિશાન બનાવ્યા હતા. સાઉદી અરેબિયાના બે ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા છે.

સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ મલ્કીએ 'એક્સ' પર આ વાતની પુષ્ટિ કરી હતી. ગત સોમવારે હૂતિ વિદ્રોહીઓએ જણાવ્યું હતું કે તેઓ લાલ સમુદ્રમાં સાઉદી અરેબિયા વિરુદ્ધ નાકાબંધી કરશે. ત્યારબાદ સાઉદી અરેબિયાએ સખત જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

સાઉદી સિવિલ ડિફેન્સે એલર્ટ જારી કર્યું

શનિવારે, સિવિલ ડિફેન્સે જણાવ્યું કે જો કોઈના મોબાઈલ પર ચેતવણી સંદેશ પ્રાપ્ત થાય, તો તેણે શાંત રહેવું અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું. લોકોને તરત જ કોઈ સુરક્ષિત ઇમારતની અંદર અથવા બારીઓથી દૂર આવેલા રૂમમાં જવાની અને સત્તાવાર રીતે જોખમ સમાપ્ત ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.