સગીર અને તેના પિતા વિરુદ્ધ કાનૂની સકંજો વધુ કસાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદ્યાવિહારમાં 17 વર્ષના સગીરે કાર હંકારીને સ્કૂટરને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા ઘાટકોપરના 33 વર્ષના ધ્રુમિલ પ્રેમજી પટેલનું 10 દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ થતાં હવે સગીર અને તેના પિતા સામે કાનૂની સકંજો વધુ કસાયો છે. તિલકનગર પોલીસે સગીરના પિતા વાલજી રાજા ભૂષણ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી અને ધ્રુમિલ પટેલના મૃત્યુ બાદ હવે તેમાં ભારતીય ન્યાય સંહિતા તેમ જ મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમ ઉમેરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
તિલકનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઢેમરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે સગીરના પિતા વાલજી ભૂષણની ધરપકડ કરી હતી અને હાલ તે જુડિશિયલ કસ્ટડીમાં છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે તાજેતરમાં બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સગીરના જામીન મંજૂર કર્યા હતા. ધ્રુમિલનું સારવાર દરમિયાન રવિવારે સાંજના મૃત્યુ થયું હતું, જેને પગલે હવે એફઆઇઆરમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમ ઉમેરવામાં આવી છે અને અમે હવે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીશું.
ઘાટકોપર પશ્ર્ચિમમાં એલજી વાડી કંપાઉન્ડ ખાતે રહેતો વેપારી ધ્રુમિલ પટેલ 5 ફેબ્રુઆરીએ રાતના પત્ની મીનળ પટેલ (32) સાથે પરેલથી સ્કૂટર પર પાછો ફરી રહ્યો હતો ત્યારે વિદ્યાવિહાર સ્થિત તાનસા પાઇપલાઇન રોડ પર કોલેજ નજીક તેને અકસ્માત નડ્યો હતો. કાર હંકારી રહેલા સગીરે ધ્રુમિલની સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ધ્રુમિલ અને તેની પત્નીને ગંભીર ઇજા પહોંચતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ધ્રુમિલના કાકાએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર 17 વર્ષનો સગીર હંકારી રહ્યો હતો. આથી પુત્ર સગીર હોવા છતાં તેને કાર હંકારવા માટે આપવા બદલ તેના પિતા વાલજી ભૂષણ સામે ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.