નવી દિલ્હી: રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ હવે તેના વહીવટી માળખા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના લીધે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક બુધવારે યોજાઈ રહી છે.
ટ્રસ્ટના નવા મહાસચિવ વિશ્વ હિન્દુ પરિષદમાંથી
આ દરમિયાન મંદિરના સંગઠનાત્મક માળખા અને વહીવટ અંગે અનેક મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. ટ્રસ્ટ માટે નવા મહાસચિવની પસંદગી કરવા ઉપરાંત લાંબા સમયથી ખાલી બે અન્ય મુખ્ય પદો ભરવા અંગે પણ નિર્ણય લેવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા મહાસચિવ વિશ્વ હિન્દુ પરિષદમાંથી હશે તે લગભગ નિશ્ચિત છે.
બે સત્રોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર,રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ બાકી રહેલી ખાલી જગ્યાઓ ભરવા માટે નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવશે. આ હેતુ માટે બે સત્રોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 3 વાગ્યે મીટિંગ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે બીજી બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થશે જેમાં અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે.