નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમને વધુ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ સમયે તેમની સ્થિતિ સ્થિર હોવા છતાં લોહી સંબંધિત સમસ્યાઓ અને પોટેશિયમના ઓછા સ્તરને કારણે તેમને સતત દેખરેખ રાખવાની જરૂર છે. આ કારણે એમને હાયર સેન્ટર રીફર કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે 6.40 વાગ્યે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મેડિકલ રિપોર્ટ અને સારવાર સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો મેદાંતા ખાતેની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા હતા.
પોટેશિયલ લેવલ નીચું ઊતર્યું
ડિસ્ચાર્જ સમયે એની હેલ્થમાં એક સ્ટેબિલિટી જોવા મળી હતી. તેઓ પેન્સીટોપેનિયા (રક્ત કોશિકાઓની ઉણપ) થી પીડાય છે અને તેમનું પોટેશિયમ લેવલ 3.4 mEq/L નોંધાયું હતું.અગાઉના ટેસ્ટ રિપોર્ટ અને મેડિકલ રેકોર્ડ મેદાંતાના ડોકટરોને પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે.આ રિપોર્ટ બાદ સોનમ વાંગચુકને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીની હાઈકોર્ટે યુદ્ધના ધોરણે એમને ગુરુગ્રામની હોસ્પિટલમાં ખસેડવા માટેના આદેશ આપ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે, એમની તબિયતની નોંધ લઈ સતત ડૉક્ટરને મોનિટરિંગની જરૂર છે. આ સુનાવણી દરમિયાન દિલ્હી એઈમ્સ અને સફરદરગંજ હોસ્પિટલના ડૉક્ટરની ટીમ પણ ત્યાં હાજર હતી.ડૉક્ટરને મેડિકલ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, વાંગચુકનું પોટેશિયમ લેવલ નીચે ઊતરી રહ્યું છે. આ વાતને ધ્યાને લેતા મેડિકલ મોનિટરિંગની જરૂરિયાત જણાવી હતી.
શું કહ્યું વકીલે?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, સોનમ વાંગચુકને મેદાંતામાં દાખલ કરવામાં સરકારને કોઈ વાંધો નથી. તમામ પક્ષકારોની સંમતિ બાદ, હાઇકોર્ટે તેમના તાત્કાલિક ટ્રાન્સફરનો આદેશ આપ્યો હતો.હાઇકોર્ટે મેદાંતા હોસ્પિટલને તેમના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવા અને જરૂરિયાત મુજબ સારવાર આપવા માટે નિષ્ણાત ડોકટરોની એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરની અંદર અને બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સોનમ વાંગચુકને વધુ તબીબી સંભાળ માટે હોસ્પિટલની ટીમને સોંપવામાં આવી છે.