Thu Jul 09 2026

Logo

મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય; ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રાના ID બંધ, હવે નહીં બને VIP પાસ

2026-07-09 15:06:00
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યાઃ અયોધ્યામાં થયેલી દાન ચોરીનો મામલો હજી શાંત થયો નથી. હજી પણ અનેક નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. તેમાં હવે ફરી અયોધ્યાથી એક મોટી જાણકારી પ્રકાશમાં આવી છે. ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રાની વીઆઈપી દર્શન પાસ બનાવવાની જે આઈડી હતી, તેને બંધ કરી દેવામાં આવી છે. એટલે કે હવે આમની આઈડીથી કોઈ પણ પ્રકારનો પાસ બની શકશે નહીં. આ પહેલા આમની આઈડીથી સુગમ દર્શન પાસ અને વિશિષ્ટ દર્શન પાસ બનાવી શકાતા હતા. મંદિર ટ્રષ્ટ દ્વારા દરેક ટ્રસ્ટિઓના નામની આડી સિસ્ટમમાં જનરેટ કરવામાં આવી હતી. જેમાં આ ત્રણની આઈડીને બંધ કરી દેવામાં આવી છે. 

પાસ સિસ્ટમ દ્વારા પણ લાખો રૂપિયાની કમાણી કરી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 'સુગમ ​​દર્શન' અને 'વિશિષ્ટ દર્શન' પાસ ચોક્કસ ભલામણો દ્વારા મુલાકાત લેનારા ભક્તોના ID ના આધારે જારી કરવામાં આવતા હતા. તિન્નુ યાદવે આ સિસ્ટમનો ઉપયોગ કરીને સેંકડો પાસ જારી કરાવ્યા હતા. ચંપત રાય અને અનિલ મિશ્રાના સહયોગીઓ પણ આ પાસ મેળવવા માટે રેકેટ ચલાવી રહ્યા હતા. આ પાસ સિસ્ટમ દ્વારા પણ લાખો રૂપિયાની કમાણી કરવામાં આવતી હતી. આ ત્રણ આઈડી દ્વારા જ સૌથી વધારે પાસ બનાવવામાં આવ્યાં હતા. જેના કારણે ટ્ર્સ્ટ દ્વારા ત્રણેયની આઈડીને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

VIP પાસ માટે ટ્રસ્ટના નિયમોનું પાલન કરવું પડશે

હવે કોઈ મંદિર જશે અને ટ્રસ્ટની બહારથી કોઈની ભલાણમ લઈને આવે તો વીઆઈપી દર્શન માટે પાસ આપવામાં આવશે નહીં. પાસ માટે ટ્રસ્ટના નિયમ પ્રમાણે જ પ્રક્રિયાને અનુસરવી પડશે. એક ચોંકાવનારી વાત એ છે કે, ગોપાલ રાવની આઈડી બંધ કરવામાં આવી છે, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે, તેઓ હજી પણ મંદિર જશે અને વ્યવસ્થામાં સહયોગ આપશે. ગોપાલ રાવ એ પણ માનવા તૈયાર નથી કે, ટ્ર્સ્ટ દ્વારા લેખિત નિવેદન આપીને તેમને હટાવી દેવામાં આવ્યાં છે. 

ચંપત રાય દાન ચોરી મામલે કેવો ખુલાસો કરશે?

દાન ચોરીના વિવાદમાં ચંપત રાયનું નામ સૌથી પહેલી હરોળમાં હતી. જેથી તેમણે જાતે જ પોતાનું રાજીનામું આપી દીધું હતું. સોમવારે ટ્રસ્ટની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું. ચંપત રાય પછી આ જવાબદારી કૃષ્ણ મોહનને સોંપવામાં આવી છે. ચંપત રાયે મંગળવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એક ચિઠ્ઠી શેર કરી હતી. જેમાં એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો તેના કારણે તેઓ નારાજ હોવાનું લખ્યું હતું. અત્યારે તો તેઓ કઈ નહીં બોલે પરંતુ ભવિષ્યમાં આ ચોરીનો જવાબ આપશે અને મોટો ખુલાસો કરશે.