નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે વિનાયક દામોદર સાવરકર વૈજ્ઞાનિક વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવતા કટ્ટર દેશભક્ત હતા, અને હિન્દુત્વ પર તેમની સમજૂતી હજુ પણ સુસંગત અને ઉપયોગી છે.
કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં, ગડકરીએ કહ્યું હતું કે તેમણે એકવાર સાવરકરની ટીકા કરનારા એક ‘મોટા રાજકીય નેતા’ને કહ્યું હતું, કે જો સ્વાતંત્ર્ય સેનાની મહાન નથી, તો દેશમાં કોઈ મહાન નથી.
શનિવારે સ્વાતંત્ર્ય વીર સાવરકર સ્મારક સમિતિ દ્વારા આયોજિત ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે (નિવૃત્ત)ના સન્માન કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે સાવરકર દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે. ‘તેઓ માત્ર કટ્ટર દેશભક્ત જ નહોતા, પણ એક ઉત્તમ કવિ, દાર્શનિક અને ઇતિહાસકાર પણ હતા. પરંતુ, સૌથી અગત્યનું, તેઓ એક આદર્શ સમાજ સુધારક હતા. સાવરકરનો વૈચારિક દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક હતો. હિન્દુત્વ વિશે તેમણે જે સમજૂતી આપી હતી તે આજે પણ ખૂબ જ ઉપયોગી અને સુસંગત છે,’ એમ ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું.
તેમણે સાવરકરનો સ્પષ્ટ મત હતો કે જાતિ વ્યવસ્થા અને તેના વિભાગો, તેમજ હિન્દુ સમાજમાં હાજર અસ્પૃશ્યતાનો સંપૂર્ણપણે નાશ થવો જોઈએ, એમ તેમણે ધ્યાન દોર્યું હતું. ‘કોઈ પણ વ્યક્તિ તેની જાતિને કારણે શ્રેષ્ઠ નથી, વ્યક્તિ તેના ગુણોને કારણે શ્રેષ્ઠ બને છે, આ જ સાવરકરનો વિશ્ર્વાસ હતો. સાવરકરનું આખું જીવન બલિદાન, તપસ્યા અને સમર્પણનું ઉદાહરણ છે. કોઈ પણ પરિવારે દેશ માટે સાવરકર જેટલું બલિદાન આપ્યું નથી,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સાવરકર એક કટ્ટર દેશભક્ત હતા અને તેમના લખાણો, તેમજ તેમના પર આધારિત ફિલ્મ, વધુને વધુ લોકો સુધી પહોંચવી જોઈએ, એમ ગડકરીએ ઉમેર્યું હતું. ‘એક મોટા રાજકીય નેતા છે જે સાવરકરની ટીકા કરે છે. એક વાર મેં તેમને કહ્યું હતું કે સાવરકર વિશે યોગ્ય રીતે વાંચો. વાતચીત દરમિયાન મેં તેમને કહ્યું હતું કે જો સાવરકર મહાન નથી, તો આ દેશમાં કોઈ મહાન નથી,’ એમ પણ તેમણે કહ્યું હતું.
‘મેં આ નેતાને કહ્યું હતું કે તમે વિચારધારાની ટીકા કરી શકો છો અને વિચારધારા પર મતભેદો હોઈ શકે છે. પરંતુ, દેશ માટે સાવરકર અને તેમના પરિવાર કરતાં વધુ બલિદાન કોઈએ આપ્યું નથી,’ એમ ગડકરીએ ઉમેર્યું હતું.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઘણી વખત દાવો કર્યો છે કે સાવરકરે જેલમાંથી બહાર આવવા માટે બ્રિટિશરો પાસે માફી માંગી હતી. કોંગ્રેસના નેતા ક્રાંતિકારી વિશેની તેમની ટિપ્પણી બદલ પુણેની કોર્ટમાં માનહાનિનો કેસનો સામનો કરી રહ્યા છે. હિન્દુત્વ વિચારધારાના પૌત્ર દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.