(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢથી સાસણ ગીરને જોડતા મહત્વના ખડિયા-બિલખા રોડને પહોળો કરવા અને આધુનિકીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 57 કરોડના અંદાજિત ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જૂનાગઢ-ખડિયા-બિલખા-મેંદરડા-સાસણ કોરિડોર પર વધતા જતા ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો તેમજ ગીર વિસ્તારમાં સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટેના પગલાંને મજબૂત કરવાનો છે. હાલમાં આ રોડ ટુ-લેન છે, પરંતુ પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેને ફોર-લેનમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ વર્તમાન માર્ગને સેન્ટ્રલ ડિવાઈડર અને બંને બાજુ પેવ્ડ શોલ્ડર સાથે ફોર-લેન કેરેજવેમાં અપગ્રેડ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માટે જરૂરી જીઓલોજિકલ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર તરફથી ટેકનિકલ તેમજ નાણાકીય મંજૂરી પણ મળી ગઈ છે. આ રોડના વિસ્તરણથી જૂનાગઢ અને સાસણ વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને વન્યજીવ સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રાફિકનું નિયમન થવાથી એશિયાટિક સિંહો અને અન્ય પ્રાણીઓ માટેના જોખમોમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.