Sat May 09 2026

Logo

હવે સૌરાષ્ટ્રથી સીધા જ પહોંચો ભગવાન વેંકટેશના ચરણે!  જાણો ઓખા-તિરુપતિ વચ્ચેની નવી ટ્રેનનું શિડ્યુલ

2026-05-09 18:09:43
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્રવાસીઓને વધુ એક સેવાનો લાભ મળી રહેશે.  પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 11 મે, 2026ના રોજ ઓખા રેલવે સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. 

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરના જણાવ્યા મુજબ, ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ દર સોમવારે રાત્રે 23.35 કલાકે ઓખાથી ઉપડશે અને બુધવારે રાત્રે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે. જ્યારે વળતી મુસાફરીમાં ટ્રેન સંખ્યા 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડીને શનિવારે સવારે 11.50 કલાકે ઓખા પરત ફરશે.

આ નવી સાપ્તાહિક ટ્રેન મુસાફરોની સુવિધા માટે દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનનું બુકિંગ 10 મે, 2026થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવશે. ગુજરાતથી દક્ષિણ ભારતના ધાર્મિક સ્થળોની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરો માટે આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધુ વિગતો માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.