ગાંધીનગર: મોરબી જિલ્લામાં છેલ્લા દોઢેક અઠવાડિયાથી ખેડૂતો તેમના ખાનગી વીજ કંપની દ્વારા ખેતરમાં નાખવામાં આવી રહેલા થાંભલાઓના વિરોધમાં આંદોલન પર કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને પૂર્ણ કરવા માટે સામાજિક આગેવાનો પણ આગળ આવી ચૂક્યા છે, જોકે હજુ સુધી તેના સુખદ અંતના કોઈ અહેવાલ મળ્યા નથી ત્યારે હવે ખેડૂતોના આંદોલન મામલે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ મામલે પત્ર લખ્યો છે.
ગોપાલ ઇટાલિયાએ લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતભરનાં અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીનાં થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢમાં, સાણંદનાં દરેડમાં, વઢવાણનાં નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાનાં મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.
વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા હિન્દુ ખેડૂતોને મળી સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે માટે AAP ધારાસભ્ય શ્રી @Gopal_Italia એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી. pic.twitter.com/nKL2RCYQhA
— AAP Gujarat (@AAPGujarat) June 29, 2026
તેમણે સરકાર પર આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકરે પ્રયત્ન કર્યો નથી. જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુ:ખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે, આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહિ અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?
આગળ તેમણે રાજ્ય સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે,ચૂંટણી સમયે હિન્દુત્વનાં મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યનાં હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઉભી છે?
તેમણે રાજ્ય સરકારને સામે ચાલીને મોરબી સહીત તમામ ખેડૂતોને મળવા તેમજ શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવા વિનંતી કરી હતી.