થાણે: થાણેની સેશન્સ કોર્ટ બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં 33 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લગ્નના વચન પર આધારિત લાંબા ગાળાના જાતીય સંબંધને બળાત્કાર ન ગણી શકાય. જો તે શરૂઆતથી સંમતિથી હોય.એડિશનલ સેશન્સ જ રૂબી માલવણકરે મુંબ્રાના રહેવાસી શાહબાઝ મોહંમદ સલીમ ખાનને ભારતીય દંડસંહિતા હેઠળ બળાત્કાર અને છેતરપિંડીના આરોપમાંથી મુક્ત કર્યો હતો.
તપાસકતા પક્ષના આક્ષેપ અનુસાર પતિ સાથે છૂટાછેડા લેનારી અને બે દીકરીની માતા એવી પીડિતા તેમ જ આરોપી ખાન થાણેના મૉલમાં કામ કરતા હતા ત્યારે ખાને તેની સાથે મિત્રતા કરી હતી. ખાને 2016થી 2018 દરમિયાન પીડિતાને લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે બાદમાં તેણે વચન પાળ્યું નહોતું અને તેને ધમકી આપી હતી.
આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે સંમતિથી બાંધેલા સંબંધ અને કપટના ઇરાદા અંગેના પુરાવાના અભાવ પર પ્રકાશ પાડ્યો હતો.
બે વર્ષનો સંબંધ એક મહત્ત્વપૂર્ણ સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન પીડિતાએ કોઇ ફરિયાદ નોંધાવી નથી કે તેને છેતરપિંડીનો અનુભવ થયો નથી. આ સૂચવે છે કે પીડિતા જાતીય સંબંધમાં સમાન ભાગીદાર હતી, એમ કોર્ટે જણાવ્યું હતું.કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે સંબંધની શરૂઆતથી જ પીડિતાને છેતરવાનો કે શોષણ કરવાનો ખાનનો ઇરાદો હતો તે દર્શાવવા માટે રેકોર્ડ પર કંઇ નથી. કોર્ટે કહ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો અને ખાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)