શિમલાઃ હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારની કાર ખાઈમાં ખાબકી હતી. જેમાં 6નાં મોત થયા હતા. જ્યારે 4નો આબાદ બચાવ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, હિમાચલ પ્રદેશના ચંબા-નૂપરુર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને ટાડા મેડિકલ કૉલેજ કાંગડા મોકલવામાં આવ્યા હતા.
અક્સ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત તુનુહટ્ટી વિસ્તારના કાકીરા ધાર પાસે સર્જાયો હતો, ધર્મશાલાથી જઈ રહેલી એક કાર અનિયંત્રિત થઈને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માત સમયે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. ખરાબ હવામાન અને લપસણો રસ્તો અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિકોએ અકસ્માતનો અવાજ સાંભળીને તાત્કાલિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વરસાદ વચ્ચે રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોના નામઃ લલિત ફતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી, દિવ્યાંશુ ભોપાણી
ઈજાગ્રસ્તોના નામઃ મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશી