(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાતારાના એસપીના સસ્પેન્શન અંગેના વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેના આદેશને કાયદા અને બંધારણીય નિષ્ણાત પાસે તેમના મંતવ્યો માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જ ચુકાદો આપવામાં આવશે એવી જાહેરાત બુધવારે બજેટ અધિવેશનના છેલ્લાં દિવસે વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ કરી હતી.
રામ શિંદેએ બુધવારે ઉપલા ગૃહમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં ગયા અઠવાડિયે સાતારા જિલ્લા પરિષદ પ્રમુખની ચૂંટણી દરમ્યાન થયેલી હોબાળા બાબતે આઈપીએસ ઓફિસર તુષાર દોશી અને અન્ય અધિકારીઓના સસ્પેન્શનને વર્ચ્ચુઅલ રીતે સ્થગિત કરવામાં આવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓના સસ્પેન્ડ કરવાનો નિર્ણય કાયદા અને બંધારણીય નિષ્ણાતોને મોકલવામાં આવશે અને એ પછી જ ચુકાદો આપવામાં આવશે.
વિધાનપરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએ રાજ્ય સરકારને સાતારા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તુષાર દોશીને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે ભાજપે નારાજગી વ્યક્ત કરી હતી. ઉપાધ્યક્ષ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર વિચાર કર્યા પછી સરકારે ઘટનાની તપાસ કરવી જોઈએ અને કાયદા અનુસાર પગલા લેવા જોઈએ એવું રામ શિંદેએ કહ્યું હતું, જેના પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સંમતિ વ્યક્ત કરી હતી.
આ અગાઉ મંગળવારે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભાની સત્તાઓ બંધારણમાં સારી રીતે વ્યાખ્યાયિત છે. કારોબારીની સત્તા કારોબારી પાસે રહે છે અને તે વિધાનસભાને જવાબદાર છે. સરકાર અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા નિર્દેશનો અમલ કરવાનો પ્રયાસ કરે છે પણ વિધાનસભા અધ્યક્ષ અને વિધાનપરિષદના અધ્યક્ષે કારોબારીમાં માથુ મારવું ના જોઈએ.