'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'ડાર્લિંગ' અને 'મગધીરા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી ઘર-ઘરમાં જાણીતી થયેલી સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ હવે એક નવા અને પાવરફુલ અવતારમાં મોટા પડદા પર જોવા મળશે. પરંતુ આ સિવાય બોલીવૂડને લઈને કાજલ અગ્રવાલે એવી વાત કહી છે કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો...
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે બોલીવૂડમાં ટાઈમની પંક્ચ્યુઆલિટીને લઈને ખૂબ જ તકલીફ છે અને આ એક બાબત બોલીવૂડે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસેથી શિખવાની જરૂર છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધું જ એકદમ ઓન ટાઈમ થાય છે, જ્યારે બોલીવૂડમાં આ બાબતે મામલો થોડો ગડબડ છે.
આ ઈન્ટરવ્યુમાં કાજલે જણાવ્યું હતું કે ફિલ્મ સિકંદરમાં સલમાન કાન સાથે કામ કરવાની વાતથી હું ખૂબ જ ખુશ હતી. હું સલમાનને પહેલાંથી જ પસંદ કરતી હતી અને તેમની સાથે કામ કરવાની તક મળશે આ વાતથી હું એક્સાઈટેડ હતી. પરંતુ મારો અનુભવ અલગ જ રહ્યો હતો. સલમાન સેટ પર બપોરે કે સાંજે આવતા હતા અને હું કલાકો સુધી એમની રાહ જોતી રહેતી. બોલીવૂડે સાઉથ પાસેથી આ શિખવાની જરૂર છે.
ચોંકાવનારા સામાજિક વિષય પર આધારિત આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં ખોરાકમાં ભેળસેળ, પેસ્ટિસાઇડ્સ (જંતુનાશક દવાઓ) નો અતિશય વપરાશ અને તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે એક સામાન્ય પિતાની ભૂમિકામાં છે, જે પોતાની સાત વર્ષની પુત્રીને ગંભીર બીમારીમાં ગુમાવ્યા બાદ સિસ્ટમ અને કોર્પોરેટ કંપનીઓ સામે લડાઈ શરૂ કરે છે. જ્યારે કાજલ અગ્રવાલ 'એડવોકેટ અર્ચના'ના પાત્રમાં છે, જે આ પીડિત પિતાને ન્યાય અપાવવા માટે વકીલ તરીકે કોર્ટમાં ઉતરે છે અને મોટી કંપનીઓ તથા ભ્રષ્ટ સિસ્ટમ સામે કાનૂની જંગ લડે છે.
પોતાના આ નવા પાત્ર વિશે વાત કરતા કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે હું કોઈ દમદાર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં કામ કરું. 'ધ ઈન્ડિયા સ્ટોરી' દ્વારા મારું આ સપનું પૂરું થયું છે. આ ફિલ્મમાં મારું પાત્ર અન્યાય સામે અડીખમ ઊભા રહેવાની હિંમત દર્શાવે છે.
ચેતન ડીકેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ સમગ્ર વિશ્વમાં 24મી જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં મુરલી શર્મા, મનીષ વાધવા અને અતુલ તિવારી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. આગામી ૨૪ જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.