(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મંદિરોની દાનપેટી તોડીને રોકડ ચોરનારા રીઢા ચોરને કાંદિવલી પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે ફરાર તેના સાથીની શોધ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ અરમાન ઉર્ફે અલ્તાફ નઝીર શેખ (19) તરીકે થઈ હતી. કાંદિવલી પશ્ર્ચિમમાં એમ. જી. રોડ પરના લક્ષ્મી નારાયણ મંદિરની દાનપેટીમાં હાથફેરો કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર 13 મેની રાતે 8.30થી બીજી સવારે છ વાગ્યા દરમિયાન આ ચોરી થઈ હતી. દાનપેટીનું લૉક તોડીને અંદાજે 60 હજારની રોકડ ચોરવામાં આવી હતી. આ પ્રકરણે કાંદિવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી નાયગાંવથી ટ્રેનમાં કાંદિવલી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તેને કાંદિવલીના ગણેશ નગર પાસેથી તાબામાં લીધો હતો. આરોપીએ તેના સાથી ધર્મેશ લોહાર સાથે ગુનો આચર્યો હતો.
આરોપી વિરુદ્ધ એમએચબી અને નેહરુનગરનાં ત્રણ મંદિરમાંથી રોકડ ચોરવાના ગુના નોંધાયેલા છે. એ સિવાય વાઈન શૉપમાં ચોરી બાઈકચોરીના પણ ગુનામાં તેની સંડોવણી હોવાનું તપાસમાં જણાયું હતું.