Wed Jul 22 2026

Logo

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે ડો. કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ, જાણો કોણ છે

2026-07-22 20:02:30
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન મળેલી રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાયના સ્થાને હાલમાં ડો. કૃષ્ણ મોહનને મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ હાલમાં કાયમી મહાસચિવની નિમણૂક અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટ્રસ્ટ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરાશે

રામ મંદિર ટ્રસ્ટની લગભગ અઢી કલાક ચાલેલી આ બેઠકમાં મંદિર બાંધકામ, વહીવટી વ્યવસ્થા અને સંગઠનાત્મક બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.  જોકે, બેઠકમાં થયેલી અન્ય ચર્ચાઓ અને નિર્ણયો અંગેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

ટ્રસ્ટની આ બેઠક પર સૌની નજર હતી

રામ મંદિર દાન ચોરી કેસ બાદ  ટ્રસ્ટની આ બેઠક પર સૌની નજર હતી. તેમજ હાલમાં  ડો. કૃષ્ણ મોહનને મહાસચિવની ભૂમિકા સંભાળવાના નિર્ણયને ટ્રસ્ટના વહીવટી કામગીરીમાં સાતત્ય જાળવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. 

જાણો કોણ છે મહાસચિવ ડો. કૃષ્ણ મોહન ? 

ડો. કૃષ્ણ મોહન ઉત્તર પ્રદેશના હરદોઈના વતની  છે. તેઓ હવે ટ્રસ્ટના વહીવટી અને સંગઠનાત્મક બાબતોનું સંચાલન કરશે. આ ઉપરાંત રામ મંદિર દાન ચોરી અંગે ઔપચારિક ફરિયાદ પણ  કૃષ્ણ મોહને નોંધાવી હતી.

કૃષ્ણ મોહનનો જન્મ બરેલીમાં થયો

કૃષ્ણ મોહનનો જન્મ સપ્ટેમ્બર 1952માં બરેલીમાં થયો હતો. તેમના પિતા રેલ્વે અધિકારી હતા.  તેમણે વર્ષ  1970માં લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી. પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે લગભગ પાંચ વર્ષ સુધી અણુ ઊર્જા વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું.

વધારાના મુખ્ય વન સંરક્ષકના પદ પરથી નિવૃત્ત થયા

તેની બાદ ભારતીય વન સેવા માટે પસંદ થયા હતા. તેમને મહારાષ્ટ્ર કેડર ફાળવવામાં આવી હતી. તેઓ વર્ષ  2012માં વધારાના મુખ્ય વન સંરક્ષકના પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ  તેઓ સામાજિક અને જાહેર સેવા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ રહ્યા.