મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે આજે નાશિક અને રાયગઢ માટે પાલક પ્રધાનોની નિમણૂક કરીને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો અંત આણ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગિરીશ મહાજન અને શિવસેનાના નેતા ભરત ગોગાવલે આ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
ગયા વર્ષે શિવસેનાના નેતાઓએ શરૂઆતની નિમણૂકો સામે વાંધો ઉઠાવતા,શાસક ગઠબંધન વચ્ચેના મતભેદોને કારણે આ પદો ખાલી રહ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગે એક સરકારી ઠરાવ બહાર પાડીને ગિરીશ મહાજનની નાશિકના પાલક પ્રધાન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી, જ્યારે ભરત ગોગાવલેને રાયગઢનો હવાલો સોંપવામાં આવી છે.
ડિસેમ્બર ૨૦૨૪માં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર સત્તામાં આવ્યા બાદ, ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ એનસીપીના અદિતિ તટકરેને રાયગઢના અને મહાજનને નાશિકના પાલક પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ શિવસેનાને વાંધો પડતા આ નિયુક્તિઓ પર રોક લગાવી દેવામાં આવી હતી. ગોગાવલે રાયગઢનો હવાલો ઈચ્છતા હતા અને શિવસેનાના નેતા દાદા ભૂસે નાશિકની જવાબદારી મેળવવા માંગતા હતા.