Tue Sep 08 2026

Logo

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી

Kyrgyzstan   2026-08-31 22:39:51
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી

બિશ્કેક: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મળ્યા અને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ  રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, યુદ્ધથી આગળ વધીને હવે તેને સમાપ્ત કરવાનો સમય આવ્યો છે. તેમજ યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ જ સમગ્ર માનવતા માટે પ્રાથમિક્તા છે. 

એક્સ પર પુતિન સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો

પીએમ મોદીએ તેમના એક્સ પર પુતિન સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો. તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન સાથે વિગતવાર વાતચીત ચર્ચા થઇ હતી.  ભારત-રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓ પર ચર્ચા થઈ હતી. તેમજ  તાજેતરના વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ જોઈને આનંદ થાય છે. ભારત-રશિયા મિત્રતાના મુખ્ય ક્ષેત્રોમાં  ઊર્જા, સ્પેશ સાયન્સ, ખાતર અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત  ભારત અને રશિયા વચ્ચે આર્થિક ભાગીદારી, સંરક્ષણ અને વ્યાપારિક સંબંધો અંગે ચર્ચા થઈ. પીએમ મોદીએ પુતિનને કહ્યું કે આર્થિક વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે વિશ્વમાં શાંતિ હોય.

ભારત અને રશિયા એકબીજાનો આદર કરે છે

પુતિને કહ્યું કે ભારત અને રશિયા એકબીજાનો આદર કરે છે અને સમાન ભાગીદારીમાં જોડાય છે. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. તેમણે નોંધ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ગયા અઠવાડિયે જ મોસ્કોની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત અને રશિયા વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે, અને રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. 

રશિયા માટે શાંતિનો વિચાર શ્રેષ્ઠ

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ  અનેક શહેરો તબાહ થઈ ગયા છે. યુક્રેન કે રશિયા બંનેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. ત્યારે  વડાપ્રધાન મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી અને રશિયા માટે શાંતિનો વિચાર કરવો શ્રેષ્ઠ રહેશે. તેમણે યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી છે.