મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ઓલી દરાજલી દુસ્તલિક’થી સન્માનિત કરવામાં આવતા મહારાષ્ટ્ર ભાજપનાં નેતા નવનીત રાણાએ ખુશી વ્યક્ત કરી છે. નવનીત રાણાએ વડા પ્રધાન મોદીના વૈશ્વિક સ્તરે વધી રહેલા પ્રભાવ અને ભારત માટેના તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે દુનિયાના દેશો તરફથી તેમને સતત મળી રહેલા સન્માન આશ્ચર્યજનક નથી.
નવનીત રાણાએ કહ્યું કે વડા પ્રધાન મોદી દેશ માટે ઘણું કામ કરી રહ્યા છે અને વૈશ્વિક સમુદાયમાં ભારતનું યોગદાન અને પ્રતિષ્ઠા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો વડા પ્રધાન મોદીને આગામી સમયમાં 36મું આંતરરાષ્ટ્રીય સન્માન મળે અથવા તેમને સન્માનિત કરવા માટે વિશ્વમાં કોઈ દેશ બાકી ન રહે, તો તેમાં પણ આશ્ચર્ય નહીં થાય.
ભાજપ નેતાએ વડા પ્રધાન મોદીને ઈમાનદારી અને દેશભક્તિનું ઉદાહરણ ગણાવતા કહ્યું કે વડા પ્રધાન તરીકે જો કોઈ વ્યક્તિ ઈમાનદારી અને દેશભક્તિનું સાચું પ્રતિનિધિત્વ કરે છે તો તે નરેન્દ્ર મોદી છે. તેમના જણાવ્યા મુજબ, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની છે અને વિવિધ દેશો તરફથી મળતા આંતરરાષ્ટ્રીય સન્માન આ બાબતને દર્શાવે છે.
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવએ વડા પ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘ઓર્ડર ઓફ ઓલી દરાજલી દુસ્તલિક’થી સન્માનિત કર્યા છે. આ સન્માન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં વડા પ્રધાન મોદીના યોગદાન અને ભારત-ઉઝબેકિસ્તાનની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા બદલ આપવામાં આવ્યું છે.
વડા પ્રધાન મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધોને ‘કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સ્તરે લઈ જવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વેપાર, સંરક્ષણ, ઊર્જા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઈ છે.
જોકે, વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન મળ્યા બાદ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર રાજકીય કટાક્ષ કર્યો હતો. તેમણે ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક સંદર્ભનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીને મળેલા સન્માન અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આ દરમિયાન નવનીત રાણાએ વડા પ્રધાન મોદીને મળેલા સન્માનને ભારત માટે ગૌરવની બાબત ગણાવી અને કહ્યું કે વિશ્વ મંચ પર ભારતની સ્થિતિ મજબૂત બની રહી છે. તેમના નિવેદનથી એક તરફ ભાજપ તરફથી વડા પ્રધાન મોદીના વિદેશ નીતિ અને વૈશ્વિક નેતૃત્વની પ્રશંસા જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ આ સન્માનને લઈને વિપક્ષ તરફથી રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.