Mon Jun 08 2026

Logo

ઈન્ડિગો નવી મુંબઈ એરપોર્ટથી 30 નવા રૂટ પર ફ્લાઈટ શરૂ કરશે; ગુજરાત માટે ખાસ જાહેરાત

2026-03-29 14:28:22
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉદ્ઘાટન થયા બાદ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન સતત વધારવામાં આવી રહ્યું છે. એવામાં આજે રવિવારે ઇન્ડિગો એરલાઈન્સે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 30 નવા રૂટ પર ફ્લાઈટ્સ શરુ કરવાની જાહેરાત કરી છે.  ઇન્ડિગો એરલાઈન્સે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આગરા, અયોધ્યા, બાગડોગરા, બેલગામ, ચંદીગઢ, દીવ, કન્નુર, કોલકાતા, પટના, રાજકોટ, શ્રીનગર, વારાણસી, વિશાખાપટ્ટનમ અને અન્ય ઘણા શહેરો માટે નવા રૂટ્સની જાહેરાત કરી છે. 

એક પ્રેસ રિલીઝ અનુસાર ઇન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે એરલાઈન નવી મુંબઈ એરપોર્ટથી દર અઠવાડિયે 400 થી વધુ ડિપાર્ચર ઓપરેટ કરશે, જે મુસાફરોને આરામદાયક મુસાફરી વિકલ્પો પુરા પાડશે અને દેશના વિવિધ ભાગોમાં પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે. ઇન્ડિગો એરલાઇન્સના જણાવ્યા મુજબ 23 એપ્રિલ સુધી નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે.

ગુજરાત માટે ખાસ જાહેરાત:
ઇન્ડિગોએ એવી પણ જાહેરાત કરી કે આજે રવિવારથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દિવસમાં બે વાર સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ રૂટ માટે ઇન્ડિગોના ATR એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. ઇન્ડિગોએ પ્રેસ રિલીઝમાં એમ પણ જણાવ્યું કે ઇન્ડિગો ગુજરાતના છ શહેરોથી ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે, ઇન્ડિગો ગુજરાતથી દર અઠવાડિયે 1,400 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે.