બીડ: બીડ જિલ્લામાં નાણાકીય વિવાદમાં બે આરોપીએ 43 વર્ષના હોટેલિયરનું ગળું ચીરીને હત્યા કર્યા બાદ તેના પુત્રને કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના પર્લી વૈજનાથ ટાઉનમાં ગુરુવારે રાતે આ ઘના બની હતી. હોટેલિયરની ઓળખ કારભારી નારાયણ આંધળે તરીકે થઇ હોઇ તેનો આરોપી સચિન રાઠોડ અને સુમિત પવાર સાથે નાણાકીય વિવાદ હતો.
ગુરુવારે રાતે સચિન અને સુમિત પવારનો હોટેલિયર સાથે ઝઘડો થયો હતો. આથી બંને જણે તીક્ષ્ણ હથિયારથી હોટેલિયરનું ગળું ચીરી નાખ્યું હતું. તે લોહીના ખાબોરિયામાં પડ્યો હતો ત્યારે તેના પુત્રને આરોપી સચિને કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં તારા પિતા પર હુમલો કર્યો છે અને તે અહીં લોહીલુહાણ હાલતમાં પડ્યા છે.
દરમિયાન પુત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
હોટેલિયરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)