(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભારત સરકાર દ્વારા ગુજરાતના ત્રીજા આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનુ લોકાર્પણ રાજકોટના લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ કર્યુ હતું. તેમણે તેનુ પોતાના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચવવાની અપીલ છતા રૂપાલા, કોર્પોરેટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રાંત અધિકારી, મામલતદાર તમામ અલગ-અલગ કારમાં આવ્યા હતા.
જો કે આ દરમિયાન મીડિયા સાથેની વાત કરતા સાંસદ પરષોત્તમ રૂપાલાએ હાલ સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે પણ વાત કરી હતી અને તેમણે પેટ્રોલ-ડીઝલની અછતને કારણે લોકોને તકલીફ પડી રહી હોવાની વાતને સ્વીકારી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ માટે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલુ છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં લોકો અકળાઈને પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાવે તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં છે ત્યાં સુધીમાં રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ છે.
બાદમાં તેમણે નવા શરૂ કરવામાં આવેલા આધાર સેવા કેન્દ્રની સેવાઓ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટમાં આધાર સંબંધીત લોકોના કોઈ પ્રશ્નો હોય તો તે ઘર આંગણે જ મળી રહે તે માટે આધાર સેવા કેન્દ્રનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આધારકાર્ડ નવું બનાવવા, અન્ય કોઈ અપગ્રેડેશન કરવા માટેના પ્રશ્નો અંગે હવે આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે. તેમણે આ સુવિધા રાજકોટને આપવામાં આવી તે અંગે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.