નવી દિલ્હીઃ અમેરિકી સરકારે નિકાસ નિયંત્રણો લાદતા એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપીકે તેનાં નવાં મૉડૅલોને ઓફલાઈન લેવાનો નિર્ણય લીધો છે, જે ભારતને ટેક્નોલૉજી ક્ષેત્રે આત્મનિર્ભર અથવા તો સ્વાવલંબી થવાની એક હાકલ હોવાનું નીતિ આયોગના સભ્ય અભય કરંદીકરે તાજેતરમાં જણાવ્યું હતું. ગત સપ્તાહે એન્થ્રોપીકે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ અનુસાર મે અમારા તાજેતરના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મૉડૅલ ફેબલ-ફાઈવ અને મિથોસ-ફાઈનો વિદેશી નાગરિકોને ઉપયોગ કરતા અટકાવવા ઓફલાઈન કરવામાં આવ્યા છે.
આપણે સ્થાનિક સ્તરે શક્યતઃ એઆઈના માળખાકીય વિકાસ અને હાર્ડવૅરમાં પાછળ છીએ... એઆઈ ક્ષેત્રની અગ્રણી એન્થ્રોપીકના તાજેતરના નવાં મૉડૅલ અમેરિકી વહીવટીતંત્રના નિકાસ નિયંત્રણનાં નિર્ણયને ધ્યાનમાં લેતા ભારતે ટેક્નોલૉજીના વિકાસમાં આત્મનિર્ભર થવું પડશે, એમ કરંદીકરે પીટીઆઈને જણાવ્યું હતું. અત્યાધુનિક એઆઈ મૉડૅલના એક્સેસ નિયંત્રિત રાખવા અમેરિકાના નિકાસ નિયંત્રણો એક નોંધપાત્ર પગલું છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે એન્થ્રોપીકે વ્યાપકપણે ફેબલ રજૂ કર્યું હતું જે તેના વધુ અદ્યતન મૉડૅલ મિથોસનું મર્યાદિત સંસ્કરણ છે.
સાયબર સુરક્ષાના ભયને કારણે કંપની દ્વારા મિથોસના એક્સેસ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિતિ આયોગના એક સભ્યએ જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક માળખાકીય અને હાર્ડવૅર વિકસાવવા વધુ જોર કરવું પડી શકે છે કારણ કે આપણી પાસે સેમિક્નડક્ટર ચિપ્સ અથવા પ્લેટફોર્મ નથી, પરંતુ આપણે આગળ વધી રહ્યા હોવાનું મને જણાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે મોટા પાયે માળખાકીય ઉપયોગ કરવાની ક્ષમતા છે જે એક મોટું જમા પાસું છે. સરકાર આરોગ્ય, કૃષિ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં એપ્લિકેશન વિકસાવી રહી છે.
કરંદીકરે એમ પણ જણાવ્યું હતું કે આયોગ નાગરિક કેન્દ્રીત સેવાઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગની પદ્ધરિઓ શોધી રહ્યું છે. જોકે, ભારતે ડિજિટલ માળખાગત સુવિધાઓના વિકાસમાં આગેવાની લીધે છે અને ઈન્ડિયા એઆઈ મિશને ઓછામાં ઓછા 12 સ્ટાર્ટઅપને ટેકો આપ્યો છે જે પાયાના અથવા તો ફાઉન્ડેશન મૉડૅલ વિકસાવી રહ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે મિશને છેલ્લાં એક વર્ષમાં ઘણું કર્યું છે છતાં ટેક્નોલૉજી જે રીતે આગળ ધપી રહી છે તે ધ્યાનમાં લેતા હજું ઘણું કરવાની આવશ્યકતા છે.