નવી દિલ્હી : વિશ્વમાં સતત વધી રહેલા તણાવ અને પડકારો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઈ) એ કેન્દ્ર સરકારને રાહત આપી છે. આરબીઆઈએ સરકારને મુશ્કેલ સમયમાં રૂપિયા 2.86 લાખ કરોડનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ ટ્રાન્સફર કર્યું છે.
સરકારના નાણાંકીય ભંડોળને મજબૂત બનાવશે
કેન્દ્ર સરકાર હાલ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અને મિડલ ઈસ્ટ તણાવના પગલે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ વધારાના પડકાર સામે ઝઝૂમી રહી છે. ત્યારે વર્ષ 2026-27 નાણાકીય વર્ષની શરૂઆતમાં આરબીઆઈનો આ રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફર સરકારના નાણાંકીય ભંડોળને મજબૂત બનાવશે.
આરબીઆઈનું આ ડિવિડન્ડ ટ્રાન્સફર એક નવો રેકોર્ડ
આરબીઆઈનું આ ડિવિડન્ડ ટ્રાન્સફર એક નવો રેકોર્ડ છે. આરબીઆઈના આ નિર્ણય પૂર્વે વિશ્લેષકોએ અંદાજ લગાવ્યો હતો કે ડિવિડન્ડની રકમ રૂપિયા 2.7 લાખ કરોડથી રૂપિયા 3.5 લાખ કરોડની વચ્ચે હશે.
લાભ અને રોકાણો પરના વળતરનો ફાયદો થયો
જોકે, ગત નાણાકીય વર્ષ જે 31 માર્ચ 2025 ના રોજ પૂર્ણ થયું હતું. તેમાં કેન્દ્રીય બેંકે સરકારને રૂપિયા 2.69 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ પૂર્વે વર્ષ 2023-24 નાણાકીય વર્ષમાં રૂપિયા 2.11 લાખ કરોડની ચુકવણી કરવામાં આવી હતી. આ વધારામાં એક વર્ષ પછી આરબીઆઈ ને ચલણ વિનિમયમાં વધઘટ, વિદેશી વિનિમય કામગીરીમાંથી લાભ અને રોકાણો પરના વળતરનો ફાયદો થયો છે.
વિદેશી ચલણ સંપત્તિ પર મૂલ્યાંકનમાં વધારો થયો
આરબીઆઈ દ્વારા ચૂકવવામાં આવેલા ડિવિડંડમાં સૌથી મોટો ફાળો વર્ષ 2026 દરમિયાન યુએસ ડોલર સામે રૂપિયાના 10 ટકા અવમૂલ્યનનો હતો. જેના કારણે આરબીઆઇ ની બેલેન્સ શીટમાં વધારો થયો અને વિદેશી ચલણ સંપત્તિ પર મૂલ્યાંકનમાં વધારો થયો. કેન્દ્રીય બેંકે કરન્સી માર્કેટમાં સક્રિય હસ્તક્ષેપથી પણ નફો મેળવ્યો છે. કારણ કે તેણે રૂપિયાને ગબડતો અટકાવવા માટે ડોલર વેચ્યા હતા.