ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની પર ચર્ચા કરતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મોટા શહેરોમાં મેટ્રોની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મેટ્રો ફેઝ-૩ હેઠળ થલતેજથી ગોધાવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એરપોર્ટ સુધી 58.53 કિમીનું વિસ્તરણ કરવામાં આવશે. આ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ 2217.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત ભારતના શહેરી વિકાસનું ગ્રોથ એન્જિન
તેમણે જણાવ્યું કે ગુજરાત આજે ભારતના શહેરી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યની 48 ટકા વસ્તી શહેરોમાં વસે છે. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2026-27 માટે રૂ. 33,504 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ માત્ર ખર્ચ નથી પરંતુ ગુજરાતના શહેરી ભવિષ્યમાં કરાયેલું રોકાણ છે.આ વિકાસ માત્ર આજની જરૂરિયાતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ આવનારા દાયકાઓ માટે ભવિષ્યલક્ષી શહેરો તૈયાર કરવાનો મજબૂત આધારસ્તંભ છે. સ્માર્ટ પાર્કિંગ, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી દ્વારા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે તૈયાર કરવા રૂ. 10 કરોડની જોગવાઈ
મંત્રીએ કહ્યું કે અમદાવાદને આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે તૈયાર કરવા રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટેરા, નવરંગપુરા અને હીરાવાડી જેવા મુખ્ય સ્પોર્ટ્સ સ્થળોની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવશે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાવસાયિક રમતગમત સુવિધાઓ અને ફ્લાયઓવરની નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન માટે યોજના
શહેરોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ અને મેળાઓના આયોજન માટે કુલ રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શેરી ફેરિયાઓ માટે 43 સ્થળોએ આધુનિક માર્કેટ બનાવવા ‘CM મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના’ હેઠળ રૂ. 80 કરોડ ફાળવાયા છે. ગુજરાત આજે વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એવા તબક્કે પ્રવેશ કરી ચૂક્યું છે જ્યાં શહેરો માત્ર વિસ્તરી નથી રહ્યા, પરંતુ વ્યવસ્થિત, માનવકેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહ્યા છે. અમે રસ્તા, મેટ્રો-રેલ, એરપોર્ટ અને ડિજિટલ સિસ્ટમ્સને અલગ-અલગ નહીં, પરંતુ એક સર્વાંગી શહેરી વિકાસના ભાગરૂપે આગળ વધારી રહી છે.
કોર સિટી વિસ્તારોના વિકાસ માટે યોજના અમલી
રાજ્યના શહેરોમાં આર્થિક ક્ષમતા અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતા "કોર સિટી" વિસ્તારોના વિકાસ માટે સરકાર મુખ્યમંત્રી નગર નવજીવન યોજના અમલમાં લાવી છે. આ યોજના માટે આગામી વર્ષ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેરોના માર્કેટ અને કોમર્શિયલ પોટેન્શિયલ ધરાવતા વિસ્તારોમાં બ્રાઉનફિલ્ડ પુનર્વિકાસ દ્વારા આર્થિક તકો ઊભી કરવામાં આવશે. પસંદગીના વિસ્તારોમાં જૂની ડ્રેનેજ લાઈનો, પાણી પુરવઠાની લાઈનો અને રસ્તાઓના સુધારણા સાથે આ વિસ્તારોને ટકાઉ અને હરિયાળા બનાવાશે.
જીવન ધારા યોજના હેઠળ રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા
આ ઉપરાંત શહેરોમાં વસતા ગરીબો અને સ્થળાંતરિતો માટે સસ્તા ભાડાના મકાનો કરાવવા નમો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અમલી બનાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે અમદાવાદ અને સુરત ખાતે પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરી સંપત્તિઓની જાળવણી માટે જીવન ધારા યોજના હેઠળ રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. મિશન ડેઇલી વોટર સપ્લાય અંતર્ગત 62 નગરપાલિકાઓમાં દૈનિક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્ય શહેરોમાં બિઝનેસ ટુરિઝમને વેગ અપાશે
ગાંધીનગર ખાતે વિશ્વસ્તરીય નમો સેન્ટ્રલ ડિજિટલ લાઈબ્રેરી અને કો-વર્કિંગ સ્પેસ નું નિર્માણ રૂ. 300 કરોડના ખર્ચે થશે, જે માટે ચાલુ વર્ષે રૂ. 100 કરોડની જોગવાઈ છે. મુખ્ય શહેરોમાં બિઝનેસ ટુરિઝમને વેગ આપવા MICE કેન્દ્રો માટે રૂ. 100 કરોડ ફાળવાયા છે.
મોટા શહેરોનું ભારણ ઘટાડવા કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસરને 5 સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવા રૂ. 50 કરોડની જોગવાઈ છે. લોથલને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂકવા માટે થીમ પાર્ક અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. યાત્રાધામ અંબાજીના સુવ્યવસ્થિત વિકાસ માટે રૂ. 97.25 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની રૂ. 33,504 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી