કારાકાસઃ વેનેઝુએલામાં ભારતીય સમય પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે 3.34 કલાકે આવેલા ભૂકંપના બે આંચકાએ ભારે તબાહી વેરી છે. ભૂકંપના બે આંચકાના કારણે મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ છે અને 14 હજારથી વધારેનાં મોત થયાં હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે મોતનો આંકડો બહાર પડાયો નથી પણ બિનસત્તાવાર રીતે મોતનો આંકડો 25 હજારને પાર કરી ગયો હોવાનું કહેવાય છે.
બુધવારે બપોરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા
વેનેઝુએલાના સમય પ્રમાણે, બુધવારે બપોરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ પૈકી પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો જ્યારે થોડી મિનિટો પછી 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ઉપરાછાપરી આવેલા ભૂકંપના બે શક્તિશાળી આંચકાના કારણે ઈમારતો પત્તાના મહેલની માફક પડી ગઈ હતી અને હજારો લોકો બહાર નિકળવાનો સમય મળે એ પહેલાં તો કાટમાળ નીચે દટાઈને ઉપર પહોંચી ગયા હતા.
આંચકાનું કેન્દ્ર કારાકાસથી લગભગ 160 કિમી પશ્ચિમમાં નોંધાયું
સત્તાવાર રીતે મળલી માહિતી પ્રમાણે, ભૂકંપના 7.2ની તીવ્રતાના પહેલા આંચકાનું કેન્દ્ર કારાકાસથી લગભગ 160 કિમી પશ્ચિમમાં હતું. જમીનથી માત્ર 13 કિમી ઉંડે આવેલા ભૂકંપના કેન્દ્રના કારણે મોટા વિસ્તારને અસર થઈ હતી. થોડી મિનિટો પછી 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો તેનું કેન્દ્ર મોરોન શહેરના દક્ષિણ-પશ્ચિમમાં અને ઊંડાઈ 10 કિમી હતી. આ બંને ભૂકંપના આંચકાએ મોટો વિસ્તાર આવરી લીધો હોવાથી બહુ મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની આશંકા છે.
વેનેઝુએલાની રાજધાની કારાકાસ તથા આસપાસના વિસ્તારોમાં ઇમારતો અને મકાનોને ધરાશાયી થઈ ગયા હતા અને ચોતરફ માટીનાં વાદળ છવાઈ ગયાં હતાં. રાજધાની કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ પણ તૂટી પડ્યો છે પણ અંદર જઈ શકાય તેમ નહીં હોવાથી નુકસાનનો કોઈ અંદાજ નથી. વેનેઝુએલામાં ઈમારતો તૂટી પડવાથી આકાશમાં ચોતરફ માટીનાં વાદળો છવાઈ ગયાં છે.