Wed Jul 15 2026

Logo

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ તપાસ અધૂરી! AAIB એ સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો વધુ સમય

2026-07-15 15:11:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી / અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. પરંતુ આ દુર્ઘટના શા કારણે સર્જાઈ તેનો ચોક્કસ રિપોર્ટ હજી પણ તૈયાર કરવામાં આવ્યો નથી. હજી પણ તપાસ માટે 6 અઠવાડિયાનો સમય લાગશે તેવું AAIB એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. પ્રશ્ન છે કે, તપાસમાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? એક વર્ષથી પણ વધારે સમય થયો છે, તપાસ માટે આટલો સમય ઓછો નથી! આટલાં લાંબા સમય પછી પણ તપાસમાં વિલંબ કરવામા આવી રહ્યો છે. ચાલો શું નવી અપડેટ આવી છે તેની ચર્ચા કરીએ....

સુપ્રીમ કોર્ટમાં AAIB આપી આ વિગતો

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. આ તપાસ માટે નિર્ધારિત કરેલા દરેક નિયમોની પાલન કરવામાં આવી રહ્યું છે, જેથી રિપોર્ટ ફાઈલ કરતા હજી પણ 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. 

તપાસનો રિપોર્ટ જાહેર થતા હજી પણ સમય લાગશે

વધુમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું કે, આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા ટેકનિકલ જટિલતાથી તપાસ કરવામાં આવી રહેલી હોવાથી સમય લાગી રહ્યો છે. જો બાકીની એજન્સીઓનો જરૂરી પ્રતિક્રિયાઓ નિર્ધારિત સમયમાં આવી જશે તો આ તપાસ રિપોર્ટનો ડ્રાફ્ટ 6 અઠવાડિયામાં પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે કે, ઓક્ટોબર સુધીમાં ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવશે. 

CVRના ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરવાની ના પાડી!

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, AAIB એ એમ પણ જણાવ્યું હતું કે વિમાન અકસ્માતોની તપાસ માટે ભારતીય કાયદા હેઠળ નિર્ધારિત તમામ 10 તબક્કાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) માંથી ઓડિયો રેકોર્ડિંગ અને વિમાનમાંથી લેવામાં આવેલી અન્ય છબી અથવા ઓડિયો રેકોર્ડિંગ જાહેર નહીં કરાય તેવો પણ AAIB ઉલ્લેખ કર્યો છે. નિર્ધારિત નિયમો પ્રમાણે ઓડિયો રેકોર્ડિંગ અને વિમાનમાંથી લેવામાં આવેલી અન્ય છબી જાહેર ના કરી શકાય તેવો દાવો પણ AAIB દ્વારા કરવામાં આવ્યો છે.