અમદાવાદ: 31મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે. આ મહામુકાબલાને પગલે ક્રિકેટ પ્રેમીઓ અને મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાર સ્પેશિયલ ટ્રેનો દોડવવાની જાહેરાત કરવામાં આવી છે.
જો કે રેલવે દ્વારા સત્તાવાર રીતે એવું જાહેર કરવામાં નથી આવ્યું કે આ ટ્રેનો ખાસ IPL ફાઇનલ માટે જ દોડાવવામાં આવી રહી છે, પરંતુ તેના સમય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે મોટેરા સ્ટેડિયમ પર રમાતી દરેક મોટી મેચો પહેલા જોવા મળતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને જ રેલવેએ આ વિશેષ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ભાડા સાથે બે જોડી (pair) (કુલ ચાર) સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં એક જોડી (pair) મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે, જ્યારે બીજી જોડી ટ્રેન બાંદ્રા ટર્મિનસને વટવા અને અમદાવાદ સાથે જોડશે.
ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (AC Superfast Special) 31 મેના રોજ સવારે 6.20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને તે જ દિવસે બપોરે 12.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. રિટર્ન જર્નીમાં ટ્રેન નંબર 09022 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ બપોરે 3.10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને રાત્રે 9.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર ઊભી રહેશે (સ્ટોપેજ લેશે). આ સ્પેશિયલ ટ્રેનમાં એસી એક્ઝિક્યુટિવ ચેર કાર (AC Executive Chair Car), એસી ચેર કાર અને અનુભૂતિ (Anubhuti) કોચ સામેલ હશે.
આ ઉપરાંત, ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ (Superfast Special) 1 જૂનના રોજ રાત્રે 11.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને બીજા દિવસે સવારે 8.00 વાગ્યે વટવા પહોંચશે. જ્યારે રિટર્ન સર્વિસમાં, ટ્રેન નંબર 09044 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 1 જૂનના રોજ વહેલી સવારે 3.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 12.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી અને વડોદરા સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન નંબર 09043ને ઉધના, આણંદ અને નડિયાદ ખાતે વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર 09044 ભરૂચ અને સુરત સ્ટેશને પણ ઊભી રહેશે.
તેથી, જો તમે મેચ જોવા માટે મુંબઈથી મુસાફરી કરવા ઈચ્છતા હોવ, તો તમે 31 મેના રોજ ટ્રેન નંબર 09021માં ટિકિટ બુક કરાવી શકો છો. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચનો આનંદ માણ્યા પછી, તમે 1 જૂનના રોજ ટ્રેન નંબર 09044 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસમાં વળતી મુસાફરીની ટિકિટ બુક કરી શકો છો.
પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આ ચારેય સ્પેશિયલ ટ્રેનો માટે બુકિંગ 30 મેથી પીઆરએસ (PRS) કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરો ટ્રેનનો વિગતવાર સમય અને કોચની ગોઠવણી (કમ્પોઝિશન) વિશેની માહિતી ઇન્ડિયન રેલવેના ઇન્ક્વાયરી પોર્ટલ પર ચેક કરી શકે છે.