Rain Rule in IPL 2026 Final: આઇપીએલ (IPL) 2026ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. આ મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 31 મેની સાંજે રમાશે. હવે આ મેચ ફાઇનલ છે, એટલે આ જ મુકાબલાથી IPL 2026ના ચેમ્પિયન (વિજેતા) નો નિર્ણય થશે. તો મેચ દરમિયાન વરસાદ પડે તો શું છે IPLનો નિયમ?
વરસાદની સ્થિતિમાં ઓવરોમાં કાપ મુકાઈ શકે છે
જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો આઇપીએલ (IPL) ના 3 નિયમો છે, જે અંતર્ગત ચેમ્પિયન ટીમનો નિર્ણય કરવામાં આવશે. પહેલો નિયમ ઓવરોમાં કાપ મુકવા સાથે જોડાયેલો છે. જો વરસાદના કારણે મેચમાં અડચણ આવે છે, તો તે સ્થિતિમાં ઓવરો ઘટાડીને પણ મેચ પૂરી કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી ફરજિયાત છે.
શું 1098 દિવસ પછી આવું થશે?
બીજો અને સૌથી મહત્વનો નિયમ એ છે કે, જો મેચના દિવસે વરસાદના કારણે મેચ રદ થાય છે, તો તે 'રિઝર્વ ડે' (Reserve Day) પર જાય છે. જ્યાં બંને ટીમોને ફરીથી 120-120 મિનિટનો સમય મળે છે. 1098 દિવસ પહેલા રમાયેલી IPL 2023ની ફાઇનલમાં આવું જ થયું હતું, જ્યાં 28 મેના રોજ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઈ જવાને કારણે તેને 29 મેના રોજ રિઝર્વ ડે પર રમાડવામાં આવી હતી.
રિઝર્વ ડે પર પણ મેચ રદ થઈ તો…
ત્રીજો નિયમ એવું કહે છે કે, જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને ફાઇનલ મેચ ન રમાઈ શકે, તો જે ટીમ લીગ સ્ટેજ પૂરા થયા બાદ આઇપીએલ (IPL) 2026ના પોઇન્ટ્સ ટેબલમાં ટોપ (પ્રથમ સ્થાન) પર હશે, તે જ ચેમ્પિયન બની જશે. આનો અર્થ એ થયો કે જો રિઝર્વ ડેના દિવસે પણ મેચ પૂરી ન થઈ શકી, તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026ની ટ્રોફી જીતી જશે અને તે સતત બીજી વખત ચેમ્પિયન બનશે.
અમદાવાદમાં વરસાદ પડે તો..
આમ તો અમદાવાદમાં વરસાદની સંભાવના નથી પણ આ તો મોસમ છે ક્યારે પણ બદલાઇ જાય? જો હવામાન બદલાય અને અમદાવાદમાં બહુ ભારે વરસાદ ન પડે તો બહુ ફરક નહીં પડે, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુવિધાઓ ખૂબ જ ઉત્તમ છે. અહીંની ડ્રેનેજ સિસ્ટમ (પાણી નિકાલની વ્યવસ્થા) અદભુત છે. વરસાદ રોકાયાની માત્ર 20 મિનિટ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સરળતાથી મેચ ફરી શરૂ કરી શકાય છે.