Tue Aug 18 2026

Logo

વડાપ્રધાન મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ગામડાંઓમાં રાષ્ટ્રધ્વજનો ક્રેઝ વધ્યો: વેપારીઓ સજ્જ

2026-08-09 12:56:56
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર પશ્ચિમ કચ્છના બજારોમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં રાષ્ટ્રધ્વજ તિરંગા, વિવિધ સ્ટીકરો, બ્રોચ, બાઈક સ્ટેન્ડ તેમજ તિરંગી તોરણો સહિતની દેશભક્તિ સંબંધિત ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

દેશભક્તિ સંબંધિત સામગ્રી ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ

15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી નજીક આવી રહી છે ત્યારે પશ્ચિમ કચ્છના બજારોમાં તિરંગા, સ્ટીકર, બ્રોચ અને બાઈક સ્ટેન્ડ સહિતની દેશભક્તિ સંબંધિત સામગ્રી ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખવડામાં 15 વર્ષથી રાષ્ટ્રીય તહેવારોની સામગ્રીના હોલસેલ વેપારી ધર્મેશ ઠક્કર અને ગોવિંદ શર્માએ જણાવ્યું હતું કે, આ વર્ષે કાગળ અને કાપડના તિરંગા, તિરંગા બેન્ડ, ટેટૂ, તોરણ અને તિરંગી પિન જેવા માલના મોટા પાર્સલો ગ્રામ્ય વિસ્તારોના રિટેલ વેપારીઓને મોકલી દેવાયા છે. સામગ્રીના ભાવમાં કોઈ વિશેષ વધારો થયો નથી.

વેપારીઓના જણાવ્યા મુજબ, અગાઉ માત્ર શાળાઓ પૂરતી ઉજવણી સીમિત રહેતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'હર ઘર તિરંગા'ના આહવાન બાદ ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજનો ઉપાડ અનેકગણો વધ્યો છે. અગાઉની સરખામણીએ હાલ ગામડાંઓમાં એક હજારથી વધુ ઝંડાનો સીધો ઉપાડ જોવા મળી રહ્યો છે, જે ગ્રામીણ ભારતમાં વધી રહેલા દેશભક્તિના માહોલની સાક્ષી પૂરે છે.