નવી દિલ્હી: દેશભરની જિલ્લા અદાલતોમાં મહિલા વકીલો માટે પાયાની સુવિધાઓના અભાવ અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની પીઠે કર્ણાટકની તાલુકા અદાલતોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ન હોવા પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. CJIએ આ સ્થિતિને દયનીય ગણાવી હતી અને કહ્યું હતું કે, આપણી દીકરીઓ માટે આવી સ્થિતિ હોવી એ ખૂબ ચિંતાજનક છે. તેમણે તમામ રાજ્યોના એડવોકેટ જનરલને આ બાબતે કડક પગલાં લેવા આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન CJIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ફંડ નથી તેવું બહાનું હવે ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે આ મૂળભૂત માનવ અધિકારો સાથે સંકળાયેલો મુદ્દો છે. જો સરકારી તિજોરીમાં ભંડોળની અછત હોય, તો સરકાર સિગારેટ કે દારૂ પર વધારાનો ટેક્સ લગાવીને આ કામ માટે ભંડોળ એકત્ર કરી શકે છે, જેને કોર્ટ પણ યોગ્ય ઠેરવશે. આ ટિપ્પણી દ્વારા કોર્ટે સાબિત કર્યું કે પાયાની સુવિધાઓ માટે નાણાકીય મુશ્કેલીઓ અવરોધ બનવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશની હાઈકોર્ટ, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય અને પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા માટે બે સપ્તાહની અંદર ફેક્ટ-ફાઈન્ડિંગ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ તપાસ બાદ રાજ્ય સરકારોને પ્રસ્તાવ મોકલવામાં આવશે અને એડવોકેટ જનરલની રિપોર્ટ મળ્યાના ચાર સપ્તાહની અંદર PWD વિભાગે બાંધકામ શરૂ કરવાનું રહેશે. કોર્ટે આ કામ માટે સમયમર્યાદા નક્કી કરી દીધી છે.
અંતે, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ અઠવાડિયાની અંદર આ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ પણ આ મુદ્દે તમામ રાજ્યોના એડવોકેટ જનરલ સાથે બેઠક બોલાવવાની તૈયારી દર્શાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં, જેથી મહિલા વકીલોને સુરક્ષિત અને સુવિધાજનક કાર્યકારી વાતાવરણ મળી રહે.