નવી મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન પર મહત્વપૂર્ણ સમારકામ અને સુધારણાના કામોને કારણે બુધવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૬ના શહેરમાં પાણી પુરવઠો ૧૨ કલાક માટે બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
નવી મુંબઈના મુખ્ય વિસ્તારો જેવા કે બેલાપુર, નેરૂળ, વાશી, તુર્ભે, સાનપાડા, કોપરખૈરણે, ઘણસોલી અને ઐરોલીમાં પાણી પુરવઠો બંધ રહેશે. આ સાથે જ મુખ્ય પાઇપલાઇન પરના સીધા નળ જોડાણો અને સિડકો ક્ષેત્રના ખારઘર તથા કામોઠે નોડ્સને પણ તેની અસર થશે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે, ૨૨ એપ્રિલના રોજ સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ ૨૩ એપ્રિલના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો ઓછા દબાણથી આવવાની શક્યતા છે.
દરમિયાન, આ સમયગાળા દરમિયાન નાગરિકોએ પાણીનો સંગ્રહ કરી રાખવો અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, તેવી અપીલ મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવી છે.