Wed Apr 22 2026

Logo

નાશિકમાં કાર કૂવામાં પડી: મુખ્ય પ્રધાને સેફટી ઓડિટનો આદેશ આપ્યો

2026-04-04 21:02:37
Author: Vipul Vaidya
Article Image

નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં એક કાર ખુલ્લા કૂવામાં પડી જતાં છ બાળકો સહિત એક જ પરિવારના નવ સભ્યોના મોત થયા હોવાનું પોલીસે શનિવારે જણાવ્યું હતું.  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દુ:ખદ ઘટનામાં બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે જાહેર વિસ્તારોમાં ખુલ્લા કુવાઓનું તાત્કાલિક સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે વહીવટીતંત્રને કૂવો બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, અને સરકાર મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપશે. નાસિક કલેક્ટરને ઘટનાની તપાસ કરવા અને તપાસ અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે અકસ્માતને ‘અત્યંત કમનસીબ’ ગણાવ્યો હતો.પ્રાથમિક માહિતી દર્શાવે છે કે કૂવામાં નીચી દિવાલ હતી અને તે વારંવાર પહોંચતા વિસ્તારની મધ્યમાં હતી, એમ તેમણે જણાવ્યું હતું.રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવાર માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે રસ્તાઓ પર અથવા જાહેર અવરજવરવાળા વિસ્તારોમાં આવેલા તમામ કુવાઓને ઓળખવા અને સમીક્ષા કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ કુવાઓ જરૂરી છે કે નહીં અને કયા સલામતીનાં પગલાં અમલમાં મૂકી શકાય છે તેનું મૂલ્યાંકન કરવા માટે આવા સ્થળોનું ઓડિટ થવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું, અને નોંધ્યું હતું કે ઊંચી રક્ષણાત્મક દિવાલ દુર્ઘટનાને રોકી શકી હોત.નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અકસ્માતને હૃદયદ્રાવક અને પીડાદાયક ગણાવ્યો હતો.