બેસ્ટ હડતાળને કારણે મુંબઈગરાએ પર્યાયી સેવા ગણાતી મેટ્રો રેલ તરફ વળવું પડ્યું હતું. હડતાળને કારણે મેટ્રો સ્ટેશન પર ભીડ થવાની શકયતાને મેટ્રો રેલ સેવામાં વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈ મેટ્રો વનના પ્રવક્તાના જણાવ્યા મુજબ બેસ્ટ હડતાળને કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો કારણ કે મોટી સંખ્યામાં મુસાફરોએ મેટ્રો સેવાઓને તેમના પસંદગીના પરિવહન માધ્યમ તરીકે પસંદ કરી હતી.
બેસ્ટ હડતાળથી ઊભી થયેલી મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે મુંબઈ મેટ્રો વન દ્વારા ૪૮૬ ટ્રિપ્સ એટલે કે ૧૦ વધારાની ટ્રિપ્સ ચલાવવાની યોજના બનાવી હતી. સામાન્ય વર્કિંગ ડેના નોંધાયેલા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં મુંબઈ મેટ્રો વનમાં શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યા સુધી આશરે ૩૮,૦૦૦ વધારાના મુસાફરો મુસાફરી કરી શક્યા હતા અને મોડી રાત સુધીમાં લગભગ ૬૦,૦૦૦ વધારાના મુસાફરો મુસાફરી કરે તેવી અપેક્ષા મેટ્રો-વને વ્યક્ત કરી હતી. હાલમાં મેટ્રો સેવા સવારે ૫.૩૦ થી રાત્રે ૧૧.૫૦ વાગ્યા સુધી ઉપલબ્ધ છે.