Sat Apr 18 2026

Logo

જંગલને ‘ટેક્ષ’ આપવા નવતર પ્રયોગ, 200 કિલો વનસ્પતિના બીજનો વ્યાપક છંટકાવ

2026-04-11 15:34:23
Author: Vimal Prajapati
Article Image

માઉન્ટ આબુ ખાતે પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન

પાલનપુર: ડીસાના પ્રસિદ્ધ વૈદ્ય જીતુભાઈ પટેલ તથા તેમના 10 જેટલા પ્રકૃતિ પ્રેમી સાથીઓના સહયોગથી ઉત્તર ગુજરાત અરવલ્લી વનસંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા “ચાલો પર્વતોની અનમોલ સૃષ્ટિને ઓળખીએ” એવા પ્રેરક સૂત્રને સાર્થક કરતી તાજેતરમાં બે દિવસીય પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિર તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે  યોજાઈ  હતી. રાજ્યભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા આશરે 70 જેટલા પ્રકૃતિપ્રેમીઓએ આ શિબિરમાં હોંશભેર ભાગ લીધો હતો. 

પ્રકૃતિ એ આપણી રાષ્ટ્રીય સંપદા છે

શિબિરના મુખ્ય આયોજક અને ગ્રુપના અગ્રણી વૈદ્ય જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે,  પ્રકૃતિ એ આપણી રાષ્ટ્રીય સંપદા છે. તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. જો અત્યારે આપણે આ સંપદાનું સંરક્ષણ નહીં કરીએ તો ભાવિ પેઢીને આપણે શું જવાબ આપીશું ? આપણી ભાવિ પેઢી માટે આ સંપદાને જીવંત રાખવાનો પ્રયાસ કરવાનો છે. આપણા જંગલો, નદીઓ, વૃક્ષો અને તમામ વનસ્પતિ એ જ આપણી પ્રકૃતિ છે.

જંગલને ટેક્ષઆપવાની અનોખી પહેલ

શિબિરમાં સૌથી વિશેષ અને નવતર પ્રયોગ તરીકે જંગલને ‘ટેક્ષ’ આપવાની અનોખી વિભાવના અમલમાં મૂકવામાં આવી હતી. પ્રકૃતિ પ્રેમી મુળુભાઈ ડોડીયા અને કિશોરભાઈ લુહાર તરફથી નિ:શુલ્ક મળેલ વિવિધ પ્રકારની વનસ્પતિના કુલ 200 કિલો બીજને જંગલ પરિભ્રમણ દરમિયાન છંટકાવ કરવામાં આવ્યો હતો. દરેક પ્રકૃતિપ્રેમીને વિવિધ વનસ્પતિના બીજની થેલી આપવામાં આવી હતી અને ચાલતાં-ચાલતાં જ તેને જંગલને અર્પણ કરવામાં આવ્યા હતા. 

બીજદાન થકી જંગલને વાસ્તવિક ટેક્ષ આપવામાં આવ્યો

આ બીજદાનના પરિણામે ચોમાસાના પાણીથી બીજ ઉગી નીકળશે, જેનાથી તૃણાહારી પશુઓ અને પક્ષીઓને જંગલમાં જ પુષ્કળ ખોરાક મળશે અને તેઓ ખોરાકની શોધમાં શહેરી વિસ્તારો તરફ નહીં આવે. વળી, આનાથી જંગલનો ભેજ જળવાઈ રહેશે અને જમીનનું ધોવાણ પણ અટકશે. આમ, બીજદાન થકી જંગલને વાસ્તવિક ‘ટેક્ષ’ આપવામાં આવ્યો છે. પર્યાવરણ  ઋષિ તરીકે ઓળખાતા વયોવૃદ્ધ ઉત્તર ગુજરાતના નવીનભાઈ શાહ (નવીન કાકા) જેઓએ વનસ્પતિ તથા પર્યાવરણ જતન માટે આયખું પૂર્ણ સમર્પિત કરેલ છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત સેરેનીટી લાઈબ્રેરી અને બોટનિકલ ગાર્ડન અમદાવાદના વનસ્પતિશાસ્ત્ર અને ઔષધીય જ્ઞાનના વિશેષજ્ઞ ( Taxonomist) ડો. સંતોષ યાદવ દ્વારા જંગલમાં ઉગતી અનેક વનસ્પતિ, ઔષધીઓ તથા લુપ્તપ્રાય દુર્લભ પ્રજાતિઓ વિશે વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માઉન્ટ આબુના જંગલમા વ્યાપક ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ છે. આ જંગલમાં 1200 જેટલી વનસ્પતિ છે તેમાંથી 600 /700 જેટલા તો મેડિસિન પ્લાન્ટ છે.ભારત દેશમાં અન્ય વિસ્તારમાં ન થતી અમુક દુર્લભ વનસ્પતિ પણ અહીં છે. તેનું કારણ એ છે કે માઉન્ટ આબુ એ વિશ્વનું સૌથી જુનું માઉન્ટેન છે.

આ સાથે જ વનસ્પતિશાસ્ત્રીઓ, ઔષધીય જ્ઞાન ધરાવતા આયુર્વેદાચાર્યો અને પર્યાવરણ સંરક્ષણના અનુભવી નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ,પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કેવી રીતે કરવી? એ વિષય પર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રકૃતિ શિબિરમાં દસ જેટલા આયુર્વેદિક ડોક્ટર્સ તથા નિવૃત ફોરેસ્ટ ઓફિસર તેમજ અન્ય અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા પરંતુ પ્રકૃતિ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે.તેવા સભ્યો હાજર રહ્યા હતા.