Wed Jun 10 2026

Logo

કીર્તિ પટેલના ડરથી યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયત્ન કરતાં નોંધાયો કેસ

2026-02-21 13:37:00
Author: MayurKumar Patel
Article Image

જૂનાગઢઃ કીર્તિ પટેલે જૂનાગઢમાં ભવનાથ મેળામાં મૃગીકાંડમાં સ્નાન કર્યાનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે. કીર્તિ પટેલના ડરથી યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયત્ન કરતાં કેસ નોંધાયો હતો.   જૂનાગઢના યુટ્યૂબર અજમલ સીડાએ કીર્તિ પટેલ અને તેના સાથીઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતાં ચકચાર મચી ગઈ છે.

શું છે મામલો

જૂનાગઢનો યુટ્યૂબર  અજમલ સીડા મુસ્લિમ છે અને સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.  કીર્તિ પટેલે શિવરાત્રી મેળા દરમિયાન સાધુ-સંતો અને ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિરોધ કરતો વીડિયો તેણે બનાવ્યો હતો. ધર્મ પ્રત્યેની આસ્થા સાથે બનાવાયેલો આ વીડિયો કીર્તિ પટેલ અને તેની ટોળકીને પસંદ આવ્યો નહોતો. 

આ વીડિયોથી ઉશ્કેરાયેલી કીર્તિ પટેલે, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિત ચાર યુવકો સાથે મળીને તેના પર સોશિયલ મીડિયાના માધ્યમથી દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ ટોળકીએ તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

કીર્તિ પટેલ અને તેના સાગરીતો દ્વારા સતત આપવામાં આવતી ધમકીઓ અને ઘરે આવી જવાની ચીમકીથી યુવક અત્યંત ડરી ગયો હતો. માનસિક તણાવમાં આવી ગયેલા આ યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, યુવકે પહેલા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર  જેતપુર નવાગઢમાં ભાદરના પુલ પાસે બીજી વાર ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.  ઘટનાની ગંભીરતાને ધ્યાને લેઈ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અઠવાડિયામાં ત્રીજી વખત કીર્તિ પટેલ સામે ફરિયાદ

કીર્તિ પટેલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી રહે છે. એક અઠવાડિયામાં તેની સામે ત્રીજી વખત ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિએ મહિલા PI સાથે કરેલી બબાલને લઈ એક FIR નોંધાઈ હતી. તેમજ આ મામલે સાધુ સંતો તરફથી પણ એક FIR એમ કુલ બે ફરિયાદ તો પહેલાથી જ નોંધાયેલી હતી.

કીર્તિ પર નોંધાયા છે 10 ગુના

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 10 ગુનો નોંધાયા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તે બહાર આવી હતી.  ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.