અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો છે. હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે આગામી બે દિવસ માટે રાજ્યમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે છેલ્લા એક કલાકમાં સાયન્સ સીટી અને થલતેજ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા, હંસપુરા જેવા વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
30 જુલાઈથી નવી સિસ્ટમ સર્જાશે
હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં 'વેલમાર્ક્ડ લો પ્રેશર' બનવાની સંભાવના છે, જેની અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે. આ નવી સિસ્ટમના લીધે 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
અમદાવાદમાં સ્થાનિક પરિસ્થિતિ જોઈને શાળાઓ શરૂ કરવા DEOનો આદેશ
અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અને રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલી પડી રહી હોવાથી, અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે તાકીદની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. DEO દ્વારા તમામ શાળા સંચાલકો અને આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી, સ્થાનિક પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને વિવેકબુદ્ધિથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપવામાં આવી છે.