અમરેલી/ભાવનગરઃ અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભૂકંપની આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં અડધી રાતે 2:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ભર નિંદ્રામાંથી બહાર દોડી આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમરેલી- રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સૌથી મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ
અમરેલીમાં રાતભર લોકોના ભયભીત રહ્યા હતાં. અમરેલી- રાજુલા, જાફરાબાદ અને પીપાવાવમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવામાં નોંધાયું હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ અને ખાંભા સાવરકુંડલા સુધી આ ભૂકંપની અસર થઈ હતી. રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં તિરાડો અને ભૂકંપના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ભાવનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સિસ્મોલોજી વિભાગના આંકડા પ્રમાણે ભાવનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વિગતે વાત કરવામાં આવે તો, ભાવનગરમાં રાત્રે 2.24 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર 15 કિમી નીચે હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. જાનહાનિ ટળી હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.