Mon Jul 27 2026

Logo

NEET UG Re Exam: પહેલીવાર આવો પહેરો! પેપર લીકથી બચવા માટે વાયુસેનાની મદદ લેશે NTA

2026-05-29 13:25:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ  નીટ-યુજી (NEET-UG) પેપર લીક થયા પછી નવેસરથી પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં પેપર લીક થવાની કોઈપણ શક્યતાઓને સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર ભારતીય વાયુસેના (ઇન્ડિયન એરફોર્સ)ની મદદ લેવાની તૈયારી કરી રહી છે. આનો હેતુ એ છે કે પરીક્ષાને લગતા પેપર્સ અને અન્ય સામગ્રીને સુરક્ષિત રીતે નક્કી કરેલા સ્થળે પહોંચાડી શકાય.

નીટ-યુજી પેપર બાબતે સંરક્ષણ મંત્રી (રક્ષામંત્રી) રાજનાથ સિંહના ઘરે ગુરુવારે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરાવવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, NTAના મહાનિદેશક (ડીજી) અભિષેક સિંહ, સંરક્ષણ અધિકારીઓ અને ટપાલ વિભાગના અધિકારીઓ હાજર હતા.

NTA માટે કેમ છે પડકાર?

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભારતીય વાયુસેના ઓલ ઇન્ડિયા લેવલની અન્ય કોઈ પરીક્ષા માટે પણ આ પ્રકારની મદદ પૂરી પાડશે કે નહીં. આ સમગ્ર ઘટનાક્રમ અંગે સૂત્રોએ જણાવ્યું કે, NTA આ વખતે NEET-UGની ફરીથી પરીક્ષા યોજવા માટે ખૂબ જ ઓછા સમયગાળા (ડેડલાઇન) પર કામ કરી રહી છે.

આ માટે સમગ્ર સરકારી તંત્ર એકસાથે કામ કરે તે જરુરી છે. મહત્વનું છે કે NEET-UGની તૈયારીમાં સામાન્ય રીતે લગભગ છ મહિનાનો સમય લાગે છે. જ્યારે, એજન્સી હવે માત્ર 38 દિવસની અંદર ફરીથી શરૂઆતથી પરીક્ષાની તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરી રહી છે. આના કારણે તેને ઘણા પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

21 જૂને ફરી યોજાશે પરીક્ષા

નોંધનીય છે કે, 3 મેના રોજ 22 લાખથી વધુ ઉમેદવારો માટે આયોજિત કરવામાં આવેલી પરીક્ષાને કથિત પેપર લીક થયા બાદ 12 મેના રોજ રદ કરી દેવામાં આવી હતી. 15 મેના રોજ એનટીએ (NTA) એ જાહેરાત કરી હતી કે નવેસરથી 21 જૂને પરીક્ષા યોજાશે. પેપર લીકના આ કેસની તપાસ સીબીઆઈ (CBI) કરી રહી છે. સૂત્રએ જણાવ્યું કે, “ફરીથી લેવાઈ રહેલી પરીક્ષામાં સામગ્રીના ટ્રાન્સપોર્ટેશન (હેરફેર) અને સુરક્ષા જેવા પાસાઓમાં સરકારના સંપૂર્ણ સહયોગની જરૂર પડશે. આ માટે આર્મી (સેના) અને વાયુસેનાથી લઈને અર્ધલશ્કરી દળો, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર તેમજ ટપાલ સેવાઓ સુધી તમામના સમર્થનની જરૂર પડશે.”