મુંબઈ: મહારાષ્ટ્રમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઓબીસી સમુદાયના સભ્યો પર થયેલા અન્યાય અને અત્યાચારની ઘટનાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારે ખૂબ જ સંવેદનશીલ અને દૂરગામી નિર્ણય લીધો છે. ઓબીસી પર અમાનવીય અત્યાચાર રોકવા અને તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ઓબીસીના દૃષ્ટિકોણથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓબીસી કલ્યાણ મંત્રી અતુલ સાવેના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ઓબીસીની સમસ્યાઓના ઉકેલ અને તેમના વિકાસ માટે કામ કરશે. જિલ્લા અને સબ-ડિવિઝનલ સ્તરે પણ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. અત્યાચારના કિસ્સાઓમાં, પીડિતોને ઘણીવાર પોલીસ સ્ટેશનના પગથિયાં ઘસવા પડે છે. આને ટાળવા માટે, ઓબીસી પર અત્યાચાર થતાં જ તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જો કોઈ ઓબીસી વ્યક્તિ ફરિયાદ કરે છે, તો સમિતિ તેની નોંધ લેવા અને 10 દિવસની અંદર કાર્યવાહી કરવા માટે બંધાયેલી રહેશે. આ સમિતિનો ઉદ્દેશ માત્ર અત્યાચાર અટકાવવાનો નથી, પરંતુ ઓબીસી સમુદાયની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનો પણ છે. સમિતિ બાળકોના શિક્ષણ અને તેમના રહેઠાણના પ્રશ્ર્નોના ઉકેલ પર ખાસ ધ્યાન આપશે.