બદ્રીનાથ: અયોધ્યાના રામમંદિરમાં દાન ચોરી કેસ બાદ બદ્રીનાથ મંદિરમાં કથિત દાનચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસને મંદિર પરિસર અને ગણતરી ખંડના સીસીટીવી ફૂટેજમાંથી પુરાવા મળ્યા છે.
આરોપી ચલણી નોટો અને સોના-ચાંદીના સિક્કા સાથે બહાર જતો દેખાયો
આ સીસીટીવી ફૂટેજમાં બદ્રી કેદારનાથ ટેમ્પલ કમિટી(BKTC)નો કર્મચારી પ્રમોદ નૌટિયાલ, મોબાઈલ ફોન નીચે ચલણી નોટો છુપાવી અને સોના-ચાંદીના સિક્કા અને ધાર્મિક વસ્તુઓનો બંડલ લઈને બહાર નીકળતો જોવા મળે છે. આ પુરાવાના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
2 જુલાઈના રોજ સીસીટીવી ફૂટેજ મેળવ્યા
આ અંગે પોલીસે જણાવ્યું કે, 2 જુલાઈના રોજ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. તેમાં આરોપી કર્મચારી ત્રણ અલગ-અલગ પ્રસંગોએ ગણતરી ખંડમાં પ્રવેશતો અને દરેક વખતે હાથમાં વસ્તુઓ લઈને બહાર નીકળતો દેખાય છે. આ સમયે શ્રદ્ધાળુઓએ દ્વારા અર્પણ કરાયેલા દાનની ગણતરી ચાલી રહી હતી. ફૂટેજમાં તેણે સોના અને ચાંદીના સિક્કા જેવી વસ્તુઓ તેમજ શાલિગ્રામ જેવી ધાર્મિક વસ્તુ પકડી હોવાનું જોવા મળ્યું છે.
શંકાસ્પદ ગતિવિધિઓના આધારે બીકેટીસીના કર્મચારીઓની પૂછપરછ
આ ઉપરાંત પોલીસે સમગ્ર મંદિર પરિસરની ફરી વાર મુલાકાત લીધી છે. તેમજ
સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલી શંકાસ્પદ ગતિવિધિઓના આધારે બીકેટીસીના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના પહેલાના સમયગાળાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર ઘટનાક્રમને એકસાથે જોડી શકાય.