નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઇના રોજથી શરૂ થવાનું છે. જોકે, તે પૂર્વે 19 જુલાઇના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સરકાર કાયદાકીય કાર્યસૂચિની રૂપરેખા રજૂ કરશે. આ વખતે સરકાર પાસે ઘણા મહત્વપૂર્ણ બિલોનો એજન્ડા છે અને ચોમાસુ સત્ર દરમિયાન ઘણા મુખ્ય બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શક્યતા
આ ઉપરાંત આ વખતે સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શક્યતા છે. જેમાં હાલમાં જ અનેક વિપક્ષી પક્ષોમાં ભાગલા અને આંતરિક વિવાદ જોવા મળ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ટીએમસી પણ ઉથલપાથલની સ્થિતિમાં છે. ટીએમસીના વીસ સાંસદો નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાયા છે અને મમતા બેનર્જી જૂથના સાંસદોથી અલગ લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે.આ ઉપરાંત ટીએમસીના ત્રણ રાજ્યસભા સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.
NEET-UG પેપર લીક કેસ સહિતના મુદ્દા ઉછળશે
જ્યારે વિપક્ષ સત્ર દરમિયાન NEET-UG પેપર લીક કેસ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ ઉઠાવી શકે છે તેવી શક્યતાછે.
ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અગાઉ જાહેરાત કરી હતી કે ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો માટે ચોમાસુ સત્ર બોલાવાની મંજૂરી આપી છે. જેમાં દેશના મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.