નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે પશ્ચિમ બંગાળમાં SIR સાથે જોડાયેલા એક કેસમાં ભાજપ નેતાને ટકોર કરી છે. કોર્ટે કહ્યું કે આધાર કાર્ડના ગેરકાયદે ઉપયોગની તપાસ તે ના કરી શકે તેની માટે કેન્દ્ર સરકારનો સંપર્ક કરવો જોઈએ. આ મુદ્દો સરકાર સમક્ષ રજુ કરવામાં આવે.
આવા કેસો કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી
આ સમગ્ર કેસની વિગત મુજબ પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા શરણાર્થીઓને નકલી આધાર કાર્ડ ઇસ્યુ કરવાના આરોપ સાથેના કેસની સુનાવણી કરતા બેન્ચે સ્પષ્ટ કર્યું કે આવા કેસો કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી અને આ બાબતે કેન્દ્ર સરકારનો સંપર્ક કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે જ્યારે આ એક ગંભીર મુદ્દો હોઈ શકે છે. ત્યારે તેની વિગતવાર તપાસ અને નીતિગત નિર્ણયની જરૂર છે.જે કોર્ટના બદલે ફક્ત સરકારી સ્તરે જ શક્ય છે.
રોહિંગ્યાઓને આધાર કાર્ડ ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે
આ મુદ્દો ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કોર્ટ સમક્ષ મુક્યો હતો. તેમણે SIR પ્રક્રિયામાં આધાર કાર્ડની સ્વીકૃતિ અને ઉપયોગ અને કોર્ટે જાહેર કરેલા સ્પષ્ટીકરણ બાદ મુદ્દો ઉઠાવ્યો હતો. આ કેસમાં સ્પષ્ટીકરણની માંગ કરતા ઉપાધ્યયે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને રોહિંગ્યાઓને આધાર કાર્ડ ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જસ્ટીસ બાગચીએ કહ્યું તમે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સહિત કાયદાઓમાં ફેરફાર માટે ભારત સરકારને રજૂઆત કરી શકો છો.
ઓળખના પુરાવા તરીકે આધારનો ઉપયોગ
કોર્ટે કહ્યું કે જો આધાર કાર્ડ ઇન્ડસ્ટ્રીયલ ધોરણે છેતરપિંડીથી મેળવવામાં આવી રહ્યા હોય તો તેને કાયદેસર રીતે નિયંત્રિત કરવું જોઈએ. આધારને ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે એક દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તે સ્વીકારવું પડશે. નાગરિકતા નક્કી કરવા માટે આધારનો ઉપયોગ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.