અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમદાવાદની ઐતિહાસિક જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓના અનુસંધાને મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમીક્ષા દરમિયાન તેઓ જમાલપુર પહોંચ્યા હતા. જ્યાં સ્વાગત માટે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હાજર હતા. જેમને જોઈ હર્ષ સંઘવી બોલ્યા કે, આવતી રથયાત્રા પહેલાં ભગવાન તેમના લગ્ન કરાવી દેજો.
નાયબ મુખ્યમંત્રીએ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી શરૂ કરીને ભગવાનના મોસાળ સરસપુર સુધીના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, રથયાત્રાના પરતના માર્ગ પર આવેલા સંવેદનશીલ ગણાતા તંબુ ચોકી સુધીના રૂટ પર પણ તેમણે સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. રૂટ નિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા.
રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિશે જણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ થશે
આ ઉપરાંત તેમણે કહ્યું 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, સીસીટીવી અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.