Tue Sep 01 2026

Logo

રાજકોટમાં સમી સાંજે ક્ષત્રિય યુવાનની જાહેરમાં હત્યા, ક્યા કેસમાં સમાધાન ના કરતાં જીવ ખોયો ?

2026-08-03 08:49:00
Author: Mumbai Samachar Team
રાજકોટમાં સમી સાંજે ક્ષત્રિય યુવાનની જાહેરમાં હત્યા, ક્યા કેસમાં સમાધાન ના કરતાં જીવ ખોયો ?

રાજકોટઃ રાજકોટમાં 2 વર્ષ જુના હુમલાના કેસમાં કોર્ટમાં સામાધાન ન થતા હત્યાના પ્રયાસની ઘટના બની છે. 2 વર્ષ પહેલાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં સમાધાન ન કરતા ભક્તિનગર સર્કલ પાસેના ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે તા.1 ઓગસ્ટના સાંજે 6.30 વાગ્યા આસપાસ વૃધ્ધના 42 વર્ષીય પુત્ર ઘનશ્યામસિંહ વાઘેલા પર "આજે તો તને પતાવી દેવો છે" તેમ કહી જાહેરમાં છરીના ઘા ઝીંકી દીધા હતા જેને લીધે ગંભીર રીતે ઘાયલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. સરાજાહેર હત્યાના બનાવથી પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. જોકે આ ઘટના બાદ ભક્તિનગર પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાધાન કરવા આરોપી તરફથી હતું દબાણ 

ફરિયાદી અનુપસિંહ કેશુભા વાઘેલાના જણાવ્યા મુજબ વર્ષ 2024માં ધોરાજી તાલુકાના ભાડેર ગામે તેમના તથા પુત્ર ઘનશ્યામસિંહ પર ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ જીવલેણ હુમલો કર્યો હતો. તે મામલો હાલ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, કેસમાં સમાધાન કરવા માટે આરોપી પક્ષ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું પરંતુ, તેમણે સમાધાનનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ હુમલાના દિવસે બપોરે આરોપીના ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને એક અજાણ્યો શખ્સ ફરિયાદીના ઘરે તેમજ અવધ મેડિકલ ખાતે ફરિયાદી અને તેમના પુત્રને શોધતા આવ્યા હતા. સોસાયટી અને મેડિકલ સ્ટોરના CCTVમાં બંને દેખાતા હોવાનો પરિવારનો દાવો છે.

છાતી, હાથ, ખભા સહિત અન્ય ભાગોમાં ઘા ઝીંક્યા

જલારામ ચોક નજીક ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે 42 વર્ષીય ઘનશ્યામસિંહ પોતાના મિત્ર સાથે કારમાં બેઠા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને એક અજાણ્યા વ્યક્તિએ તેમને બહાર બોલાવી છરી વડે હુમલો કર્યો હતો. છાતી, હાથ, ખભા અને શરીરના અન્ય ભાગોમાં અનેક ઘા ઝીંકી "આજે તને પતાવી દેવો છે" એવી ધમકી આપતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ગંભીર રીતે ઘાયલ ઘનશ્યામસિંહને 108 મારફતે ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવતાં ઓપરેશન હાથ ધર્યું હતું.

આરોપીઓને ઝડપી લેવા તપાસ પોલીસની તપાસ

સરાજાહેર હત્યાના પ્રયાસની આ ઘટનાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, અગાઉ જીવલેણ હુમલાનો કેસ નોંધાયેલો હોવા છતાં અને સમાધાન માટે દબાણ તેમજ ધમકીઓ મળતી હોવા છતાં પોલીસ દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા નહોતા. હુમલા પહેલાં આરોપીઓ ખુલ્લેઆમ ફરિયાદી અને તેમના પુત્રને શોધતા હોવાના દાવા છતાં સમયસર કાર્યવાહી ન થતાં આખરે જીવલેણ હુમલો થયો હોવાનું પરિવારનું કહેવું છે. પોલીસે ફરિયાદના આધારે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તથા તેના અજાણ્યા સાગરિત સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.