Tue Aug 18 2026

Logo

'મેં ગુનો કર્યો હોય તો ગાંધીજી અને વાજપેયી પણ દોષી' વંદે માતરમ મુદ્દે ખડગેનો પ્રહાર

2026-08-18 16:06:22
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કોંગ્રેસના મુખ્યાલય ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવા મુદ્દે શરૂ થયેલા વિવાદનો સમગ્ર દેશની રાજનીતિમાં ચર્ચા છે. વંદે માતરમને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. 
ગોવામાં મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું "મેં એ જ વંદે માતરમ ગાયું હતું, જે પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ ગાયું હતું. જો મેં ગુનો કર્યો છે, તો ગાંધીજી અને વાજપેયી પણ દોષિત છે." તેમણે કહ્યું હતું કે ભાજપ કહે તેમ થશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ 90 વર્ષ જૂની પરંપરા ચાલુ રાખી છે.

મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે, મેં એ જ 'વંદે માતરમ' ગાયું હતું જે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુએ ગાયું હતું. જો તે ગાવું ગુનો હોય તો તેઓ છેલ્લા 18 વર્ષથી એ જ ગુનો કરી રહ્યા છે. જો આ ગુનો છે તો ગાંધીજી વિરુદ્ધ કેસ દાખલ કરો. જો તે ગુનો છે તો નેહરુજી વિરુદ્ધ પણ કેસ દાખલ કરો. જો તે ગુનો છે તો વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ પણ કેસ દાખલ કરો. અટલજીએ એ જ 'વંદે માતરમ' ગાયું હતું, તેના પર પણ કેસ દાખલ કરો.

તેમણે મોદી સરકારને આડે હાથ લીધા કહ્યું હતું કે, તેમને ખબર નથી કે તેમના જન્મ પહેલાં જ કોંગ્રેસે નક્કી કર્યું હતું કે દેશ માટે કયું રાષ્ટ્રીય ગીત અપનાવવામાં આવશે. એવું ન હોય કે તમે કહો એટલે તે કાયદો બની જાય છે. આવતીકાલે કોઈ બીજી સરકાર સત્તામાં આવી શકે છે અને કંઈક બીજું કહી શકે છે, અને તે જ કાયદો અપનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે તો ફક્ત છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે વંદે માતરમને ગાવાને લઈને શરૂ થયેલો આ વિવાદ 80માં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટની ઉજવણી બાદ શરૂ થયો છે. જ્યારે ભાજપે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર રાષ્ટ્રગીત વંદે માતરમમાં વિક્ષેપ પાડવાનો અને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

ભાજપએ આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીએ વંદે માતરમમાં વિક્ષેપ પાડવાનો સંકેત આપ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. ગોવામાં કોંગ્રેસની રેલીમાં, વંદે માતરમના બધા અંતરા ગાવાને બદલે ફક્ત પ્રથમ બે અંતરા ગાવામાં આવ્યા ત્યારે વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.