થાણે: થાણે જિલ્લામાં બે અલગ અલગ ઘટનામાં વીજળીનો આંચકો લાગવાથી ઉત્તર પ્રદેશના બે શ્રમિકનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.કલ્યાણ અને ડોંબિવલી વિસ્તારમાં રવિવારે રાતે બંને ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બંનેની ઓળખ સંદીપ ઘોરીલાલ રાવત (35) અને અજયકુમાર દસાઇ ગૌતમ (20) તરીકે થઇ હતી. સંદીપ રાવત ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો, જ્યારે અજયકુમાર ગૌતમ બસ્તી જિલ્લાનો વતની હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
સંદીપ રાવત કલ્યાણમાં તેના સંબંધીના ઘર નજીક વોટર પમ્પ પાસે હાથ-પગ ધોઇ રહ્યો હતો ત્યારે તેને કરન્ટ લાગ્યો હતો. સંદીપને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.દરમિયાન ડોંબિવલીના માનપાડા વિસ્તારમાં વીજળીના આંચકાથી અજયકુમાર ગૌતમનું મૃત્યુ થયું હતું. અજયકુમાર દુકાનમાં કામ કરતો હતો અને તે રાતે તે હાથ ધોવા માટે ગયો ત્યારે તેને કરન્ટ લાગ્યો હતો. તેને પણ હોસ્પિટલમાં મૃત ઘોષિત કરાયો હતો. બંને ઘટના પ્રકરણે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં એડીઆર દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)