Thu Sep 03 2026

Logo

નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સથી હતાશ વિદ્યાર્થિનીનો આપઘાત

2026-07-27 18:32:36
Author: Yogesh C. Patel
નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સથી હતાશ વિદ્યાર્થિનીનો આપઘાત

representative image


અહિલ્યાનગર: અહિલ્યાનગર જિલ્લામાં 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈ કથિત આત્મહત્યા કરી હતી. 21 જૂને થયેલી નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાને કારણે હતાશામાં વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભર્યું હોવાનું તેના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટ પરથી જણાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ કર્જત તહેસીલના જલાલપુર ગામમાં રહેતી અંકિતા સાંગળેએ તેના નિવાસસ્થાને શનિવારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અંકિતાએ તાજેતરમાં બારમું પાસ કરીને 21 જૂને નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) આપી હતી.

યુવતીના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે નોંધ્યું હતું કે નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં તે હતાશ થઈ હતી. આ જ કારણસર તે જીવન ટૂંકાવી રહી છે. આ પ્રકરણે કર્જત પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે પેપર લીકને કારણે ત્રીજી મેના નીટ-યુજીની પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરિણામે નવા સમયપત્રક અનુસાર પરીક્ષા 21 જૂને થઈ હતી, જેનું પરિણામ 16 જુલાઈએ જાહેર થયું હતું. (પીટીઆઈ)