Tue Jun 23 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ ગંભીર થાક ક્રૉનિક ફટિગ સિંડ્રોમ...

2026-06-23 10:01:00
Author: Dr. Harsha Chadwa
Article Image

ડૉ. હર્ષા છાડવા

શારીરિક કે માનસિક પ્રવૃત્તિ પછી થોડો થાક લાગવો એ સામાન્ય છે. થોડા આરામ પછી તે સાજું થઈ જાય છે. આ સામાન્ય લક્ષણ છે. લાંબી મુસાફરી કે કામકાજના ભારને કારણે, વધુ ચાલવાને કારણે, વધુ કંટાળાજનક પરિસ્થિતિને કારણે થાક લાગે એ થોડા સમયમાં સાજો થઈ જાય છે, પણ જો આખા દિવસ દરમ્યાન થાક લાગે, આખો દિવસ શરીર ભારે લાગે, કામ કરવાનું મન ન થાય, નાની વસ્તુઓનું કામ પણ મુશ્કેલ લાગે, વિના કારણ પણ થાક લાગ્યા જ કરે, કોઈ પ્રકારની નાની બીમારીમાં પણ અતિશય થાક લાગે, સવારે જાગ્યા પછી પણ થાક જ અનુભવાય, સૂતી વખતે શરીરના થાકના કારણે ઊંઘ ન આવે ત્યારે, વધુ પડતી વિટામિન-ડીની ઉણપ, ધ્યાન કેન્દ્રિત ન થાય, માંસપેશી, જૉઇન્ટ, માથાના દુખાવો વગેરે થવો તો આ ગંભીર થાક એટલે કે ક્રૉનિક ફટિગ સિંડ્રોમ (Chronic fatigue syndrome) છે.

ગંભીર થાક થવાના કાઈ એક નિશ્ચિત કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે આ સમસ્યા વાઇરલ સંક્રમણ, પ્રતિરક્ષા પ્રણાલી સમસ્યાઓ, અત્યાધિક તણાવ કે અનુવાંશિકથી ઉત્તેજિત (ટ્રિગર) થઈ શકે છે, પણ હાલના સંશોધનમાં પુરવાર થયું છે કે ખરાબ જીવનશૈલી, કેમિકલયુક્ત ખાદ્યપદાર્થ, મોબાઇલનો વધુ વપરાશ, અપૂરતી ઊંઘ, સમયની વિરુદ્ધનાં ખાનાપાન (સમય પર ન ખાવું), સામાજિક વાતાવરણ, એકલાપણું, કામનો બોજ, આર્થિક સમસ્યાઓ, કુપોષણ, વ્યાયામનો અભાવ, શારીરિક કામકાજનું ઘટવું, ચુસ્ત કપડાં, નાની બીમારીઓને દુર્લક્ષ કરવું જેવાં કારણોને કારણે ગંભીર થાકની સમસ્યાઓ થઈ રહી છે.

ક્રૉનિક થકાવટ સિંડ્રોમની સાથે જીવન ભારી અને અલગ થલગ જણાય. દુનિયાભરમાં લાખો લોકો આ તકલીફથી પ્રભાવિત છે, પણ દુર્ભાગ્ય વશ આ વધતી સ્વાસ્થ્ય સમસ્યા માટે લોકોમાં હજુ જાગૃતતા નથી. પ્રભાવિત લોકોએ પોતાના જીવનની ગુણવત્તા વધારવાની જરૂર છે. આનાં લક્ષણો અને કારણો ઘણાંય છે. લક્ષણ અને કારણો પ્રમાણે ચિકિત્સા થવી જરૂરી છે.

આ ક્રૉનિક થકાવટ સિંડ્રોમ જેને માયલ્જિક એન્સેફૅલોમાયલાઇટિસ રૂપથી ઓળખાય છે. જેમાં સામાન્ય થકાવટ કરતાં અધિક અને ગંભીર થાકવાળો વિકાર છે જેને અંતર્નિહિત ચિકિત્સા સ્થિતિ દ્વારા સમજવી શકાય નહીં. શારીરિક અને માનસિક ગતિવિધિથી થકાવટ વધી જાય છે જે ફકત આરામ કરવાથી કાઈ થીક થતી નથી. આ સિંડ્રોમ શરીરની કઈ પ્રણાલીને પ્રભાવિત કરે છે અને લક્ષણો પણ અલગ અને ઘણાંય હોય છે. 

એની અવધિ અને ગંભીરતા અલગ-અલગ હોઈ શકે, પર્યાવરણીય પ્રભાવ પણ હોઈ શકે, ઘણીવાર નાનપણમાં જ નબળાઈ કે કુપોષણ પણ હોઈ શકે, કોઈ એવી જગ્યામાં રહેવાસ હોય જ્યાં પોષક તત્ત્વોની અધિક માત્રામાં ઓછપ હોય. ઉચ્ચ સ્તરનું જીવન હોય, પણ તણાવ અધિક હોય, ઊંઘ ખરાબ હોય ત્યારે આ સિંડ્રોમ જણાય છે. 

સ્ત્રીઓમાં હૉર્મોનલ બદલાવ વખતે જો પોષક તત્ત્વોવાળો ખોરાકનો અભાવ હોય કે મસાલેદાર વાનગીઓનું સેવન વધુ હોય ત્યારે આ સિંડ્રોમ વધુ જણાય. નાની પણ લાંબી બીમારીમાં આ સમસ્યા અધિક ગંભીર રૂપે બહાર આવે છે. જેના કારણે વ્યક્તિ પથારીવશ રહે છે. કેફેન દ્રવ્યનું સેવન પણ પથારીવશ કરાવે છે. આજના સમયમાં બાહ્ય ભોજનનું પ્રમાણ વધુ છે. 

કૉફીનું સેવન પણ અધિક છે. જેના કારણે  નાની વયમાં આ બીમારીનાં સિંડ્રોમ જણાઈ રહ્યાં છે. આ સિંડ્રોમની શરૂઆતનાં લક્ષણ કે કારણ નાનાં હોય છે જેના પર પહેલેથી ધ્યાન દેવું યોગ્ય છે. જેમ કે માથાનો દુ:ખાવો, કબજિયાત, ચક્કર આવવાં, વારંવાર તાવ અને શરદી થવાં, નીંદર અપૂરતી અથવા ખલેલવાળી, ગળામાં દુખવું, માંસપેશીઓમાં દુખવું કે વારંવાર હાથ પગ દુખવા, શરીરમાં અમુક ભાગોમાં સોજા, ચક્કર આવવા બી.પી. લો થવા, પેટમાં દુખવું, ગૅસની સમસ્યા, ચિડચિડાપણું વધવું, કંટોળા આવવો, જલદી થાક લાગવો. 

આ સંભવિત કારણો કે લક્ષણો પર પૂરતું ધ્યાન દેવું જરૂરી છે.
આ સિંડ્રોમથી બચવા આહાર શૈલી સુધારવી ખૂબ જ મહત્ત્વની છે તેમ જ આળસને દૂર રાખવી, શારીરિક કામકાજ અને કસરતો કરવી, માનસિક સ્વાસ્થ્યને હંમેશાં તાજું રાખવું, સંગીતનો આનંદ લેવો, પ્રાકૃતિક સૌંદર્યવાળી જગ્યાએ થોડો સમય રહેવું. 

આહારમાં સ્વાસ્થ્યવર્ધક પીણાં લેવાં જેવાં કે કતીરા ગુંદરને પાણીમાં કે દૂધમાં પલાળી લેવું, વરિયાળી-એલચી-કેસરવાળો કાઢો પીવો, કોકમ-ગોરખ આમલીનાં શરબત લેવાં, ગુલાબનું શરબત (ઑર્ગેનિક હોવું જરૂરી) છાશમાં નાખીને બનાવેલી બાજરાની જુવારની નાચણીની રાબ લેવી. બ્રાહ્મી, જટામાંસીના ઉકાળા લેવા, અશ્ર્વગંધાનો ક્ષીરપાક બનાવી લેવો.

ફ્ળો અને શાકભાજી જેમ કે સંતરાં, મોસંબી, શક્કરટેટી, પેરુ જે ત્વરિત એનર્જી આપે છે, તેને ડાયટમાં શામિલ કરો. દુધી, કોળુના સૂપ લેવા. નાળિયેરનું દૂધ, તાડગોલા, લીચી, નીરો જેવા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવો. નાની બીમારીઓ વખતે દવાઓ ન લેવી, તેના થવાનાં કારણ દૂર કરવાં જેથી આ ગંભીર થાકની બીમારીથી બચી શકાય.